
સુરત જિલ્લાના ઓલપાડ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં હાજરી આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. જીણોદ ગામે રાત્રિ રોકાણ કર્યા બાદ તેઓ સવારે પુરુષોત્તમ જીન ફાર્મર્સ કમ્પાઉન્ડ ખાતે આયોજિત આ પરિસંવાદમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ આત્મા કચેરીના સહયોગથી યોજાયો હતો, જેમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વિવિધ સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા.
રાજ્યપાલશ્રીએ સ્ટોલની મુલાકાત લઈ પ્રાકૃતિક ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતો સાથે સીધી ચર્ચા કરી તેમની સમસ્યાઓ અને અનુભવો વિશે માહિતી મેળવી હતી. પરિસંવાદમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે વિશ્વાસ મજબૂત બનાવવા માટે ચર્ચાઓ યોજાઈ હતી.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં રાસાયણિક ખેતી માત્ર વ્યવસાય નથી રહી, પરંતુ એક અક્ષમ્ય ગુનો બની ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ ઉપયોગથી જમીનની ઉર્વરતા ઘટી રહી છે અને ધરતી માતા બંજર બનવાની કગાર પર છે. “ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને રોગમુક્ત સમાજ માટે ‘બેક ટુ નેચર’ એકમાત્ર ઉપાય છે,” એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ ચેતવણી આપી હતી કે રાસાયણિક ખેતીના કારણે માત્ર જમીન જ નહીં પરંતુ માનવ આરોગ્ય પર પણ ગંભીર અસર પડી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આ ઝેરી તત્વો ખોરાક મારફતે માનવ શરીરમાં પ્રવેશી રહ્યા છે અને તેની અસર એટલી ગંભીર છે કે માતાના દૂધમાં પણ ઝેરી તત્વો જોવા મળે છે. તેમણે ખેડૂતોને આ પરિસ્થિતિ અંગે જાગૃત થઈ પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.
અંતમાં રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પોતાના પરિવાર માટે ઓછામાં ઓછા જમીનના એક ભાગમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ પરિસંવાદ ખેડૂતો માટે પ્રેરણાદાયી સાબિત થયો હતો અને પ્રાકૃતિક કૃષિના વ્યાપક પ્રચાર માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.




