
જૂનાગઢ ખાતે ભારતીય ખાણ બ્યુરો (IBM), ગાંધીનગર અને જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કચેરી, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે બિલ્ડિંગ લાઈમસ્ટોન (ચૂનાના પથ્થર) ખાણોની નોંધણી માટે વિશેષ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌણ ખનિજમાંથી મુખ્ય ખનિજ તરીકે રૂપાંતરિત થયેલી ખાણોની નોંધણી પ્રક્રિયાને સરળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે આ શિબિર યોજાઈ હતી. કાર્યક્રમ તા. 7 મે, 2026ના રોજ જિલ્લા કલેક્ટર કચેરીના ઓડિટોરિયમ ખાતે સંપન્ન થયો હતો.
આ શિબિરની અધ્યક્ષતા વરિષ્ઠ સહાયક ખાણ નિયંત્રક શ્રી સુનિલ કુમાર શર્માએ કરી હતી, જ્યારે જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી શ્રી કિરણ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે શ્રી સુનિલ કુમાર શર્માએ તમામ બિલ્ડિંગ લાઈમસ્ટોન લીઝધારકો અને ખાણ પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું. તેમણે નોંધણી પ્રક્રિયાની આવશ્યકતા અને તેના લાભો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
શિબિર દરમિયાન સહાયક ખાણકામ ઇજનેર શ્રી સ્નેહલ પટેલ અને સહાયક ખાણકામ ભૂસ્તરશાસ્ત્રી શ્રી આશિષ પાલ દ્વારા ખાણ માલિકો અને પ્રતિનિધિઓને IBM નોંધણી પ્રક્રિયા વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ખાણ યોજના તૈયાર કરવાની પદ્ધતિ, માસિક અને વાર્ષિક અહેવાલો, ડ્રોન સર્વેક્ષણની પ્રક્રિયા તેમજ ખાણકામ સંબંધિત નિયમો અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ખાણ ક્ષેત્રમાં ટેકનોલોજી આધારિત પારદર્શક કામગીરી અને નિયમિત ડેટા મેનેજમેન્ટ માટે IBM નોંધણી અત્યંત મહત્વપૂર્ણ છે. ડ્રોન સર્વેક્ષણ અને ડિજિટલ રેકોર્ડિંગ જેવી આધુનિક પદ્ધતિઓ દ્વારા ખાણકામ ક્ષેત્રમાં વધુ કાર્યક્ષમતા અને પારદર્શિતા લાવવામાં મદદ મળશે.
આ કાર્યક્રમમાં 25થી વધુ ખાણ માલિકો અને તેમના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપસ્થિત લોકોએ શિબિરને માહિતીસભર અને માર્ગદર્શક ગણાવી હતી. કાર્યક્રમના અંતે જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી શ્રી કિરણ પરમારે તમામ ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કર્યો હતો, જ્યારે ભારતીય ખાણ બ્યુરોના શ્રી ચુનારામ દ્વારા આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.




