જામનગરમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો: કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને ૧૦ પૈકી ૭ અરજીઓનો સ્થળ પર જ નિકાલ


જામનગર, તા. ૨૨ જાન્યુઆરી — જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, જામનગર ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન રજૂ થયેલી કુલ ૧૦ અરજીઓમાંથી ૭ અરજીઓનો સ્થળ પર જ ત્વરિત અને હકારાત્મક નિકાલ કરી અરજદારોની સમસ્યાઓનું સમાધાન લવાયું હતું, જ્યારે બાકી અરજીઓ અંગે પણ સમયમર્યાદા નક્કી કરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

સ્વાગત કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ ઉપસ્થિત તમામ અરજદારોની રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી હતી. વિવિધ અરજીઓના સંદર્ભે તેમણે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે તાત્કાલિક ચર્ચા કરી, અરજદારોના પ્રશ્નોનું ચોક્કસ અને સમયસર નિરાકરણ લાવવા સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું. જ્યાં જરૂરી જણાયું ત્યાં વિભાગો વચ્ચે પરસ્પર સંકલન સાધી અરજદારોને ઝડપી ઉકેલ મળે તે માટે વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા હતા.

આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારો દ્વારા પ્રોપર્ટી કાર્ડ મેળવવા, જમીન રિસર્વેની ક્ષતિ સુધારણા, ગ્રામસભા યોજવા, જૂથ પાણી પુરવઠા યોજના, રેશનકાર્ડ સંબંધિત પ્રશ્નો, રસ્તાના સમારકામ, તેમજ દબાણ હટાવવાની કાર્યવાહી જેવા વિવિધ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામ મુદ્દાઓ પર જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને સંવેદનશીલતા સાથે સકારાત્મક અને અસરકારક કામગીરી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ લેવાયેલ ત્વરિત કાર્યવાહીથી અનેક અરજદારોના પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ આવતાં તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. અરજદારોએ પોતાના પ્રશ્નોનું સુખદ સમાધાન થવાથી જિલ્લા વહીવટી તંત્ર પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, અધિક નિવાસી કલેક્ટર શ્રીમતી શારદા કાથડ, સંબંધિત વિભાગોના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સ્તરે નાગરિકોની ફરિયાદોનું સમયસર નિવારણ લાવવા માટે સ્વાગત કાર્યક્રમ એક અસરકારક મંચ સાબિત થઈ રહ્યો હોવાનું આ કાર્યક્રમ દ્વારા ફરી એકવાર સ્પષ્ટ થયું છે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *