માધવપુર ઘેડના મેળામાં મેઘાલયની ‘લાકાડોંગ હળદર’નું આકર્ષણ, સ્વાસ્થ્ય માટે બન્યું ‘પીળું સોનું’


માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રુક્મિણીના પવિત્ર વિવાહ પ્રસંગે યોજાતો પરંપરાગત મેળો હવે રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બની રહ્યો છે. ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને સાકાર કરતા આ મેળામાં દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, કલા અને વિશેષ ઉત્પાદનોનો અનોખો સંગમ જોવા મળે છે. આ વર્ષે ખાસ કરીને મેઘાલયના જયંતિયા હિલ્સમાં ઉગતી વિશ્વપ્રસિદ્ધ ‘લાકાડોંગ હળદર’ લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે.

મેળામાં આયોજિત હસ્તકલા પ્રદર્શનમાં મેઘાલયથી આવેલા પ્રતિનિધિઓ દ્વારા આ વિશિષ્ટ હળદરનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ફાસમે બર્ન નામના પ્રતિનિધિ જણાવે છે કે લાકાડોંગ હળદરનું ઉત્પાદન દુનિયામાં માત્ર મેઘાલયના જયંતિયા પહાડી વિસ્તારમાં જ થાય છે. આ હળદર તેના ઔષધીય ગુણધર્મોને કારણે વિશ્વભરમાં જાણીતી બની છે.

સામાન્ય હળદરમાં કર્ક્યુમિન તત્વનું પ્રમાણ આશરે ૨ થી ૩ ટકા હોય છે, જ્યારે લાકાડોંગ હળદરમાં આ પ્રમાણ ૭ ટકાથી વધુ હોય છે, જે તેને વિશેષ બનાવે છે. આ ઊંચા કર્ક્યુમિનના કારણે આ હળદરને જીઆઈ (GI) ટેગ પણ પ્રાપ્ત થયો છે. સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયક માનાતી આ હળદર ‘એન્ટી-ઈન્ફ્લેમેટરી’ ગુણધર્મ ધરાવે છે, જે શરીરમાં સોજા અને દુખાવા ઘટાડવામાં મદદરૂપ બને છે.

આ ઉપરાંત, તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ ગુણો કેન્સર અને ત્વચાના રોગો સામે રક્ષણ પૂરું પાડે છે અને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં પણ અસરકારક સાબિત થાય છે. આ ગુણોને કારણે મેળામાં આવેલા પ્રવાસીઓ અને ભાવિકોમાં આ હળદર માટે ખાસ રસ જોવા મળી રહ્યો છે અને લોકો ઉત્સાહપૂર્વક તેની ખરીદી કરી રહ્યા છે.

હસ્તકલા પ્રદર્શનમાં હળદર ઉપરાંત મેઘાલયના વિશિષ્ટ રીમેક ગ્રાસમાંથી બનાવવામાં આવેલી આકર્ષક હસ્તકલાઓનું પણ પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે.

ફાસમે બર્ને આ અવસર માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ રીતે માધવપુરનો મેળો માત્ર ધાર્મિક ઉત્સવ નહીં, પરંતુ દેશની સાંસ્કૃતિક એકતા અને આર્થિક સહભાગિતાનો જીવંત ઉદાહરણ બની રહ્યો છે.


  • Related Posts

    વિશ્વ પર્યાવરણ દિવસ


    વિશ્વ પર્યાવરણ દિવસ (જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસ 2026: ‘નાવ ફોર ક્લાઇમેટ’ – પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈ વૈશ્વિક કટોકટી સામે લડવાનો સમયઆજે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. આ…


    FACT of India Times News


    બારડોલી નજીક હાઈવે પર કાળમુખો અકસ્માત: મહારાષ્ટ્ર એસ.ટી.ની બે બસો વચ્ચે ભીષણ ટક્કર, એક બસ પલટી મારી જતાં આગનો ગોળો બની, ૫ મુસાફરોના કમકમાટીભર્યા મોત નેશનલ હાઈવે-૫૩ પર ઉવા ગામ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *