
સુરતના હજીરા સ્થિત એલ એન્ડ ટી લિમિટેડ દ્વારા તૈયાર કરાયેલા કૈગા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ (યુનિટ 5 અને 6) માટેના મહત્વપૂર્ણ ‘રિએક્ટર એન્શીલ્ડ’ને આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમ હજીરાના એ.એમ. નાયક હેવી એન્જિનિયરિંગ કોમ્પલેક્ષ ખાતે યોજાયો હતો, જ્યાં રાજ્યના ઔદ્યોગિક અને ટેક્નોલોજીકલ વિકાસનું ગૌરવપૂર્ણ પ્રદર્શન થયું હતું.
કર્ણાટકના કૈગા ખાતે સ્થાપિત થનારા પરમાણુ રિએક્ટરના અગત્યના ભાગોનું નિર્માણ હજીરા સ્થિત એલ એન્ડ ટી પ્લાન્ટમાં કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ ગુજરાતની અદ્યતન એન્જિનિયરિંગ ક્ષમતાનું પ્રતિબિંબ છે, જે દેશના ઊર્જા સુરક્ષા ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત સતત ઔદ્યોગિક વિકાસ અને ટેક્નોલોજીમાં આગવું સ્થાન ધરાવે છે. હજીરામાં નિર્મિત આ પ્રકારના હાઈ-ટેક સાધનો ભારતને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ સાબિત થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપતી નીતિઓ દ્વારા આવા પ્રોજેક્ટ્સને પ્રોત્સાહિત કરી રહી છે.
કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ રોબોટિક્સ આધારિત હેવી ફેબ્રિકેશન સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું હતું, જે ઉત્પાદન પ્રક્રિયામાં આધુનિકતા અને કાર્યક્ષમતામાં વધારો કરશે. આ સ્ટેશન દ્વારા ભારે એન્જિનિયરિંગ ઉત્પાદનો વધુ ચોકસાઈ અને ઝડપી ગતિએ તૈયાર કરી શકાશે.
આ સમગ્ર પ્રોજેક્ટ માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ દેશ માટે પણ ગૌરવની વાત છે. હજીરા પ્લાન્ટમાં તૈયાર થયેલા આ ન્યુક્લિયર રિએક્ટરના ભાગો ભારતના ઊર્જા વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. રાજ્યના ઉદ્યોગ અને ટેક્નોલોજી ક્ષેત્રે આવી સિદ્ધિઓ ભારતને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવામાં સહાયરૂપ બની રહી છે.




