
પ્રથમ જ્યોતિર્લિંગ Somnath Temple ખાતે આયોજિત “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” અંતર્ગત એક ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગ સાકાર થવા જઈ રહ્યો છે. ૧૧મી મેના રોજ સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર ૧૧ પવિત્ર તીર્થોના જળથી ભવ્ય કુંભાભિષેક કરવામાં આવશે. આ વિશેષ ધાર્મિક વિધિ માટે સમગ્ર સોમનાથ ક્ષેત્રમાં ભક્તિમય અને ઉત્સવમય માહોલ સર્જાયો છે.
આ અવસરે ભારતના વડાપ્રધાન Narendra Modi પણ સોમનાથ મહાદેવના દર્શન અને મહાપૂજામાં હાજરી આપવા માટે આવી રહ્યા છે. તેઓ સવારે સોમનાથ મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરશે. વડાપ્રધાનની મુલાકાતને લઈને સુરક્ષા સહિતની તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.
આ કાર્યક્રમનું સૌથી વિશેષ આકર્ષણ મંદિરના શિખર પર થનાર કુંભાભિષેક રહેશે. મંદિર બહાર ૯૦ મીટર ઊંચી વિશાળ ક્રેન દ્વારા પવિત્ર જળથી ભરેલા વિશાળ કુંભને મંદિરના શિખર સુધી લઈ જવાશે. આ દરમિયાન બ્રાહ્મણો પણ કુંભ સાથે રહેશે અને વૈદિક મંત્રોચ્ચાર સાથે અભિષેક વિધિ પૂર્ણ કરવામાં આવશે.
મહત્વપૂર્ણ વાત એ છે કે આ કુંભમાં દેશના ૧૧ પવિત્ર તીર્થોના જળનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ધાર્મિક વિધિને સોમનાથ મંદિરના પુનઃનિર્માણ પછીના ઇતિહાસમાં પ્રથમવાર યોજાતી અનોખી ઘટના માનવામાં આવી રહી છે. ભક્તોમાં આ પ્રસંગને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
“સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાનું જીવંત પ્રતિક બની રહ્યું છે. સોમનાથ મંદિર ખાતે યોજાનાર આ ઐતિહાસિક કુંભાભિષેક સમગ્ર દેશ માટે ગૌરવનો વિષય બનશે.




