
Acharya Devvrat કચ્છ જિલ્લાના પ્રવાસે પહોંચ્યા દરમિયાન પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા અનેક કાર્યક્રમોમાં જોડાયા હતા. રાજ્યપાલશ્રીએ ભુજ તાલુકાના કોડકી અને નારાણપર (પસાયતી) ગામની મુલાકાત લઈને પ્રગતિશીલ ખેડૂતોના પ્રાકૃતિક ફાર્મનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે ખેડૂતો સાથે સીધો સંવાદ સાધીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યપાલશ્રીએ કોડકી ગામની શાળામાં રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે ખેડૂત જાદવભાઈ શિયાણીના ફાર્મની મુલાકાત લીધી હતી. અહીં તેમણે જાતે ગાય દોહી પોતાના જૂના સંસ્મરણો તાજા કર્યા હતા. ઉપરાંત બળદગાડું ચલાવી અને હળ ચલાવી ખેતીના પરંપરાગત સાધનો સાથેનો પોતાનો અનુભવ પણ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તેમણે ગાયને જીવાતોથી સુરક્ષિત રાખવા અંગે ખેડૂત પરિવારને માર્ગદર્શન પણ આપ્યું હતું.
ત્યારબાદ રાજ્યપાલશ્રીએ નારાણપર (પસાયતી) ગામના ખેડૂત અરવિંદભાઈ સેંઘાણીના મોડેલ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી. અહીં ૧૦૦થી વધુ ખેડૂતો સાથે કૃષિ સંવાદ યોજાયો હતો, જેમાં તેમણે રાસાયણિક ખેતીથી થતા નુકસાન અને પ્રાકૃતિક ખેતીના લાભો અંગે વિગતવાર માહિતી આપી હતી.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે આજના સમયમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધતા ઉપયોગથી જમીનની ઉર્વરાશક્તિ ઘટી રહી છે અને માનવ આરોગ્ય પર પણ ગંભીર અસર પડી રહી છે. આવા સમયમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પ્રકૃતિ અને માનવ જીવન બંને માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે.
ખેડૂતોને પ્રોત્સાહિત કરતા તેમણે ઓછામાં ઓછા એક એકર જમીનથી પ્રાકૃતિક ખેતી શરૂ કરવાની અપીલ કરી હતી. સાથે જ જીવામૃત અને ઘન જીવામૃત કેવી રીતે બનાવવું અને તેનો ખેતીમાં ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે સ્થળ પર પ્રાયોગિક માર્ગદર્શન પણ આપ્યું હતું.
રાજ્યપાલશ્રીએ ગોબરમાં રહેલા સુક્ષ્મ જીવાણુઓ જમીનની ઉર્વરાશક્તિ અને ઓર્ગેનિક કાર્બન વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તે અંગે માહિતી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી માત્ર પાક ઉત્પાદન જ નહીં પરંતુ માનવ સ્વાસ્થ્યનું પણ રક્ષણ થાય છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, ગ્રામજનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.




