
જૂનાગઢ જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલ 15 થી 18 વર્ષની કિશોરીઓના સર્વાંગી વિકાસ, જીવન કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધારવાના હેતુથી મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. ICDS વિભાગ, જૂનાગઢ અને અપરાજીતા ફાઉન્ડેશન (મદુરાઈ, તમિલનાડુ) વચ્ચે બિન-નાણાકીય સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યો છે. આ સહયોગ દ્વારા જિલ્લાની કિશોરીઓને જીવનમાં આગળ વધવા માટે જરૂરી કૌશલ્યો અને માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ સમજૂતી કરાર પર ICDS જૂનાગઢના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી વત્સલાબેન દવે દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ દ્વારા કિશોરીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા અને ભવિષ્યના પડકારોનો સામનો કરવાની શક્તિ વિકસાવવામાં મહત્વપૂર્ણ સહાય મળશે. આ પહેલથી યુવતીઓ વધુ સશક્ત અને આત્મનિર્ભર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
ભાગીદારી અંતર્ગત અપરાજીતા ફાઉન્ડેશન દ્વારા જીવન કૌશલ્ય સેમિનાર, સમર કેમ્પ અને વિવિધ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સમગ્ર પ્રોજેક્ટ બિન-નાણાકીય ધોરણે અમલમાં મુકવામાં આવશે અને તેનો તમામ ખર્ચ ફાઉન્ડેશન પોતાના CSR ફંડમાંથી વહન કરશે. આથી સરકારી વ્યવસ્થાને સહયોગ મળવાની સાથે ગ્રામ્ય કિશોરીઓને ગુણવત્તાયુક્ત માર્ગદર્શન પણ મળશે.
‘ટિમ ટિમ તારાં’ કાર્યક્રમ હેઠળ UNICEF અને WHO દ્વારા સૂચિત 10 મુખ્ય જીવન કૌશલ્યો અંગે તાલીમ આપવામાં આવશે. જેમાં નિર્ણય લેવાની ક્ષમતા, સમસ્યાનો ઉકેલ, રચનાત્મક વિચારધારા, લાગણીઓ અને તણાવનું સંચાલન, આત્મજાગૃતિ, સહાનુભૂતિ, અસરકારક સંવાદ અને વ્યક્તિગત કૌશલ્યો જેવા મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ થાય છે.
તાલીમ ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમો, રમતો અને વાર્તાઓ દ્વારા આપવામાં આવશે, જેથી કિશોરીઓ સરળતાથી શીખી શકે અને વ્યક્તિત્વ વિકાસ તરફ આગળ વધી શકે. આ કાર્યક્રમ દ્વારા યુવતીઓમાં નેતૃત્વ ગુણો વિકસાવવા અને તેમને આત્મવિશ્વાસપૂર્ણ જીવન જીવવા પ્રેરણા આપવામાં આવશે.
અપરાજીતા ફાઉન્ડેશનના ગ્લોબલ ડાયરેક્ટર શ્રીમતી રોનમ કૌશિક અને સ્ટેટ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર શ્રી મિહિર શુક્લએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ફાઉન્ડેશન 54 હજારથી વધુ શાળાઓ અને 78 લાખથી વધુ વિદ્યાર્થીઓ સાથે જીવન કૌશલ્ય ક્ષેત્રે સફળ કામગીરી કરી રહ્યું છે. વર્ષ 2012થી ગુજરાતમાં કાર્યરત આ સંસ્થા હવે જૂનાગઢની કિશોરીઓને નવી દિશા આપવા પ્રતિબદ્ધ બની છે।




