
જામનગર જિલ્લામાં આવેલ Reliance Refinery Jamnagar ખાતે 23 ફેબ્રુઆરીની સાંજે આતંકવાદી હુમલાની સૂચના મળતા તંત્ર એલર્ટ બન્યું હતું. રાત્રે 9:30 વાગ્યે રિલાયન્સ રિફાઇનરી દ્વારા જિલ્લાની કન્ટ્રોલ રૂમને હુમલાની જાણ કરવામાં આવતા જિલ્લા પ્રશાસન અને વિવિધ વિભાગોની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. રિફાઇનરીના આરવી ગેટ નજીક યુદ્ધસ્તર પર રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ 109 એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર તથા ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા સંયુક્ત કામગીરી શરૂ કરવામાં આવી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આસપાસના વિસ્તારોમાંથી નાગરિકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ National Security Guard, ચેતક કમાંડો, Central Industrial Security Force (CISF), ક્વિક રિસ્પોન્સ ટીમ જામનગર તથા જિલ્લા પ્રશાસનની ટીમોએ વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું. શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી તપાસ હાથ ધરવામાં આવી.
મોક ડ્રિલ દરમિયાન કુલ 5 આતંકવાદીઓએ હુમલો કર્યો હોવાનો દૃશ્ય સર્જાયું હતું. 10 બંદકોમાંથી મોટાભાગના લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા, જ્યારે એકના મોતનું દૃશ્ય પ્રદર્શન કરવામાં આવ્યું. ઓપરેશન દરમિયાન ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા અને બે કમાંડો શહીદ થયાનો દૃશ્યાત્મક અભ્યાસ કરાયો. આ મૉકડ્રિલ બપોરે 3:30 વાગ્યે શરૂ થઈ રાત્રે 9:05 વાગ્યે પૂર્ણ થઈ.
અંતે જિલ્લા પ્રશાસને સમગ્ર ઘટનાને રાષ્ટ્રીય સ્તરની મૉકડ્રિલ જાહેર કરતા સૌએ રાહતનો શ્વાસ લીધો. નોંધનીય છે કે જામનગરમાં આ પ્રકારની રાષ્ટ્રીય સ્તરની આતંકવાદ વિરોધી કવાયત પ્રથમ વખત યોજાઈ હતી.
આ મૉકડ્રિલનો મુખ્ય હેતુ આપત્તિ જેવી પરિસ્થિતિમાં વિવિધ વિભાગો વચ્ચે સંકલન, ઝડપી પ્રતિસાદ અને અસરકારક રાહત-બચાવ કામગીરીની ક્ષમતાનું મૂલ્યાંકન કરવાનો હતો. એનએસજીની વિશેષ ટીમે વ્યૂહાત્મક કામગીરીનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. અંતે સમગ્ર વિસ્તારને સંપૂર્ણપણે સુરક્ષિત જાહેર કરવામાં આવ્યો, જેને જિલ્લા પ્રશાસનની તત્પરતા અને તૈયારીનું ઉત્તમ ઉદાહરણ ગણવામાં આવ્યું.





