
વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ભય દૂર કરી તેને જીવનમાં આગળ વધવાનો અવસર બનાવવાની દિશામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અનોખી પહેલ ‘પરીક્ષા પર ચર્ચા’ આજે દેશભરમાં પ્રેરણાનું મંચ બની ગઈ છે. આ લોકપ્રિય કાર્યક્રમના નવમા સંસ્કરણનું લાઈવ ટેલિકાસ્ટ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના સુઘડ સ્થિત આનંદ નિકેતન શાળામાં આયોજિત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે શિક્ષણ મંત્રી ડો. સહિત પ્રદ્યુમન વાજા અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને એકસાથે જોડતી આ ચર્ચામાં પરીક્ષાને તણાવ નહીં પરંતુ આત્મવિશ્વાસ વધારવાની તક તરીકે કેવી રીતે જોવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે પરીક્ષા કોઈના જીવનની અંતિમ કસોટી નથી, પરંતુ વિદ્યાર્થીઓએ વર્ષભર કરેલી મહેનતનું પ્રતિબિંબ છે. બાળકોને નિર્ભય અને આત્મવિશ્વાસપૂર્વક આગળ વધવામાં મદદરૂપ થતો આ સંવાદાત્મક અભિગમ આજે માત્ર ચર્ચા નહીં પરંતુ બાળકો માટે એક શક્તિશાળી પ્રેરણાત્મક કાર્યક્રમ બની ગયો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં ઉપસ્થિત થનારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે પરીક્ષા જીવનની પરીક્ષા નથી, પરંતુ આપણાં પ્રયત્નો અને સંકલ્પને ચકાસવાનું માધ્યમ છે. તણાવને સફળતામાં પરિવર્તિત કરવાની આ એક મહત્વપૂર્ણ તક છે, જેને વિદ્યાર્થીઓએ હકારાત્મક મનોભાવ સાથે સ્વીકારવી જોઈએ.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સમય વ્યવસ્થાપન, ધ્યાન કેન્દ્રિત કરવાની રીતો, સ્વસ્થ જીવનશૈલી અને માનસિક સંતુલન વિશે ઉપયોગી સૂચનો આપવામાં આવ્યા. ‘પરીક્ષા પર ચર્ચા’ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો વચ્ચે સકારાત્મક સંવાદ વધ્યો છે, જે શિક્ષણક્ષેત્રમાં તણાવમુક્ત અને પ્રેરણાદાયક વાતાવરણ ઊભું કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.





