
કચ્છ જિલ્લાનું ચારી-ઢાંઢ વિસ્તાર આજે દેશ-વિદેશના પક્ષીપ્રેમીઓ અને પર્યાવરણવિદો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. રણ અને ઘાસિયાળ મેદાનો વચ્ચે આવેલો આ પૂરગ્રસ્ત વિસ્તાર અનોખી જૈવવિવિધતાને સંભાળે છે, જેના કારણે તેને ગુજરાતના પાંચમા રામસાર સાઇટ તરીકે માન્યતા આપવામાં આવી છે. આ માન્યતા ચારી-ઢાંઢના ઊંચા સંરક્ષણ મૂલ્યને દર્શાવે છે.
અહીં અત્યાર સુધી કુલ 283 જેટલી પક્ષીપ્રજાતિઓ નોંધાઈ ચૂકી છે, જેમાંથી 11 પ્રજાતિઓ વૈશ્વિક સ્તરે લુપ્તપ્રાય (Globally Endangered) અને 9 પ્રજાતિઓ ‘નિયર થ્રેટન્ડ’ શ્રેણીમાં આવે છે. ખાસ કરીને વૈશ્વિક મહત્વ ધરાવતું દુર્લભ પક્ષી ‘ગ્રે હાયપોકોલિયસ’ અહીં જોવા મળે છે, જે આ વિસ્તારમાંના પર્યાવરણીય સંતુલન અને સંરક્ષણની મહત્વતાને વધુ મજબૂત બનાવે છે.
ચારી-ઢાંઢના પૂરગ્રસ્ત વિસ્તારમાં શિયાળાના મોસમ દરમિયાન અદભૂત દૃશ્ય સર્જાય છે. અહીં બે લાખથી વધુ પક્ષીઓ એકસાથે જોવા મળે છે અને લગભગ 187 જેટલી વિવિધ પ્રજાતિઓનું અવલોકન કરવામાં આવ્યું છે. ખાસ કરીને કેટલીક જગ્યાએ એકસાથે 40,000થી વધુ પક્ષીઓ જોવા મળતા હોય છે, જે પક્ષીપ્રેમીઓ માટે અવિસ્મરણીય અનુભવ બની રહે છે.
આ વિસ્તાર માત્ર ભારતીય પ્રવાસીઓ માટે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ ધરાવે છે. અત્યાર સુધીમાં 52થી વધુ દેશોના વૈજ્ઞાનિકો, પક્ષીવિદો અને પ્રવાસીઓ અહીં મુલાકાત લઈ ચૂક્યા છે અને નિયમિત રીતે અહીંની જૈવવિવિધતાનો અભ્યાસ કરવા માટે આવે છે. વિદેશી મહેમાનોની આવન-જાવનથી કચ્છના પર્યટન ક્ષેત્રને પણ નવી દિશા મળી છે.
ચારી-ઢાંઢનું રામસાર સાઇટ તરીકેનું સ્થાન સ્થાનિક પર્યાવરણના સંરક્ષણ સાથે-साथ ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. યોગ્ય સંરક્ષણ પગલાં અને જવાબદાર પર્યટન દ્વારા આ કુદરતી ધરોહરને જાળવી રાખવામાં આવે તો આવનારા સમયમાં કચ્છનું ચારી-ઢાંઢ વૈશ્વિક સ્તરે એક મહત્વપૂર્ણ વેટલેન્ડ તરીકે ઓળખાશે.

