
છોટાઉદેપુર જિલ્લાના નાણાકીય વિકાસને વધુ ગતિ આપવાના ઉમદા હેતુ સાથે, બેંક ઓફ બરોડા દ્વારા દેવહાટ ખાતે જિલ્લાની 25મી શાખાનું ગતરોજ ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ શાખાનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર શ્રીમતી ગાર્ગી જૈન અને બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર શ્રી વિનય કુમાર રાઠીના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બેંકના વરિષ્ઠ અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વર્તમાન સમયમાં છોટાઉદેપુર જિલ્લાના સાત તાલુકાઓમાં કુલ 105 બેંક શાખાઓ કાર્યરત છે, જેમાં બેંક ઓફ બરોડા અગ્રણી બેંક (Lead Bank) તરીકે મહત્વની ભૂમિકા ભજવી રહી છે. જિલ્લાની કુલ બેંકિંગ પ્રવૃત્તિમાં બેંક ઓફ બરોડાનો અંદાજે 40 ટકા જેટલો નોંધપાત્ર હિસ્સો છે. દેવહાટ ખાતે નવી શાખાની શરૂઆતથી જિલ્લામાં બેંકિંગ સેવાઓ વધુ મજબૂત અને વિસ્તૃત બનશે.
છોટાઉદેપુર શહેરથી અંદાજે 15 કિલોમીટર દૂર આવેલી આ નવી ગ્રામ્ય શાખા આસપાસના અંતરિયાળ વિસ્તારો માટે અત્યંત લાભદાયી સાબિત થશે. આ શાખા કાર્યરત થતાં ધામોલી, બેડવી, લેહવાટ, ચીસડિયા, અંબાલા, અંતરોલી, હરપાલ અને કટરવાટ સહિતના ગામોના નાગરિકોને ઘરઆંગણે બેંકિંગ સુવિધાઓ ઉપલબ્ધ બનશે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ, ખેડૂતો અને નાના વેપારીઓને લાંબા અંતર સુધી મુસાફરી કર્યા વિના બેંકિંગ સેવાઓ મળશે.
આ નવી શાખા માત્ર નાણાકીય લેવડદેવડ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ (DBT), ખેડૂતો અને નાના ઉદ્યોગ સાહસિકોને સરળ ધિરાણ, તેમજ સુરક્ષા અને વીમા યોજનાઓનો લાભ ગ્રામજનો સુધી પહોંચાડશે.
બેંક ઓફ બરોડાની આ પહેલ દ્વારા “સમાવેશી વિકાસ” અને “દરેક ઘર સુધી બેંકિંગ”ના સંકલ્પને વધુ મજબૂતી મળી છે. દેવહાટ ખાતે શરૂ થયેલી આ શાખા છોટાઉદેપુર જિલ્લાના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.





