સુરતનું એકમાત્ર ન્યૂ સિવિલ હીમોફિલિયા કેર સેન્ટર બન્યું આશાનું કેન્દ્ર, મુંબઈના દર્દી અજય પાલંદેને મળ્યું નવું જીવન


રાજ્યમાં સુરતનું એકમાત્ર ન્યૂ સિવિલ હીમોફિલિયા કેર સેન્ટર આજે હીમોફિલિયા દર્દીઓ માટે આશાનું મોટું કેન્દ્ર બની રહ્યું છે. આધુનિક સારવાર અને નિષ્ણાત તબીબોની ટીમના કારણે મુંબઈના હીમોફિલિયા દર્દી અજય પાલંદેની નિરાશાને નવી આશામાં ફેરવી દેવામાં આવી છે. રાજ્ય સરકારના સહયોગથી રૂ.50 લાખથી વધુની મફત સારવાર મળતા અજય પાલંદેને સાચા અર્થમાં નવું જીવન મળ્યું છે.

41 વર્ષીય અજય પાલંદે હીમોફિલિયા ‘એ’ના દર્દી છે. વર્ષ 2019માં મુંબઈ ખાતે તેમના જમણા પગનું ઘૂંટણ બદલવાની (ની રિપ્લેસમેન્ટ) સર્જરી કરવામાં આવી હતી. પરંતુ સર્જરી બાદ વારંવાર ઈન્ફેક્શન થવાથી ત્રણ વખત સમસ્યા ઉભી થઈ અને અસહ્ય પીડા શરૂ થઈ. લાંબા સમય સુધી મુંબઈમાં સારવાર કરાવી છતાં કોઈ સુધારો ન આવતા તેઓ નિરાશ થઈ ગયા હતા. અંતે તેમણે સુરતના ન્યૂ સિવિલ હીમોફિલિયા કેર સેન્ટરનો સંપર્ક કર્યો.

સેન્ટરના મેનેજર શ્રી નિહાલ ભટવાલાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે અજય પાલંદે ગંભીર સ્થિતિમાં અહીં આવ્યા હતા. યોગ્ય નિદાન બાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ બે તબક્કામાં સફળ સર્જરી કરી. સારવાર દરમિયાન અંદાજે 5 હજાર યુનિટ ‘ફેક્ટર 4’ આપવામાં આવ્યું, જે હીમોફિલિયા દર્દીઓ માટે જીવનરક્ષક સાબિત થાય છે. આ સમગ્ર સારવાર રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણપણે મફત આપવામાં આવી હતી, જેની કિંમત રૂ.50 લાખથી વધુ થાય છે.

સફળ સારવાર બાદ અજય પાલંદેએ જણાવ્યું હતું કે, “સુરતના સિવિલ હીમોફિલિયા કેર સેન્ટરે માત્ર મારા પગને જ નહીં, પરંતુ મારું આત્મવિશ્વાસ પણ પાછું આપ્યું છે.” તેઓએ રાજ્ય સરકાર અને સિવિલ હોસ્પિટલના તબીબો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

નિહાલ ભટવાલાએ વધુમાં જણાવ્યું કે, હવે સમય બદલાઈ રહ્યો છે. પહેલાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકો મુંબઈ કે અન્ય મહાનગરોમાં સારવાર માટે જતા હતા, પરંતુ આજે સુરત પોતે જ હીમોફિલિયા દર્દીઓ માટે ટ્રીટમેન્ટ હબ બની રહ્યું છે. ન્યૂ સિવિલ હીમોફિલિયા કેર સેન્ટરની સફળતા રાજ્યના આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થઈ રહી છે.


  • Related Posts

    આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ભવ્ય ઉજવણી: સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત પ્રતિક છે નર્સિંગ વ્યવસાય


    GMERS Medical College ખાતે ‘આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે’ની ભવ્ય ઉજવણી રાજ્યના આરોગ્ય મંત્રી Praful Pansheriya ની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં નર્સિંગ વ્યવસાયની મહત્તા, સેવા ભાવના અને માનવતાના મૂલ્યોને ઉજાગર…


    જૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી


    Junagadh જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા યુવાનોને રોજગારની વધુ તકો ઉપલબ્ધ થાય અને નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ બની શકાય તે હેતુથી ઔદ્યોગિક ભરતીમેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *