
Mahisagar જિલ્લામાં કાળઝાળ ઉનાળાની સ્થિતિ વચ્ચે વન્યજીવોને પાણીની અછતથી બચાવવા વન વિભાગ દ્વારા સંવેદનશીલ અને પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉનાળાની ગરમીમાં જંગલ વિસ્તારોમાં પાણીના સ્ત્રોત સૂકાઈ જતા વન્યજીવોની તરસ છીપાવવા માટે વન વિભાગે વિવિધ વિસ્તારોમાં કૃત્રિમ જળકુંડ, જેને સ્થાનિક ભાષામાં “ગજલર” તરીકે ઓળખવામાં આવે છે, તે કાર્યરત કર્યા છે.
વન વિભાગ દ્વારા જંગલોમાં નિયમિત રીતે પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી વન્ય પ્રાણીઓને પાણી માટે માનવ વસાહતો તરફ જવું ન પડે. ખાસ કરીને ઉનાળામાં પાણીની શોધમાં જંગલ છોડીને ગામડાઓ અને ખેતી વિસ્તારોમાં પ્રવેશતા વન્યજીવોને કારણે માનવ-વન્યજીવ સંઘર્ષની ઘટનાઓ વધવાની શક્યતા રહેતી હોય છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વનતંત્ર “એક્શન મોડ”માં આવી જરૂરી પગલાં લઈ રહ્યું છે. કૃત્રિમ જળકુંડોની વ્યવસ્થા થવાથી જંગલોમાં રહેલા હરણ, સિયાળ, નીલગાય, જંગલી સૂર સહિતના વિવિધ વન્યજીવોને કુદરતી નિવાસસ્થાનમાં જ પાણી ઉપલબ્ધ થઈ રહ્યું છે.
વન અધિકારીઓના જણાવ્યા મુજબ આ પહેલનો મુખ્ય હેતુ વન્યજીવોનું સંરક્ષણ, જંગલ પર્યાવરણનું સંતુલન જાળવવું અને માનવ-વન્યજીવ અથડામણની ઘટનાઓમાં ઘટાડો લાવવાનો છે. સાથે જ જંગલ વિસ્તારોમાં સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈપણ પરિસ્થિતિમાં તાત્કાલિક પગલાં લઈ શકાય.
પર્યાવરણપ્રેમીઓએ વન વિભાગના આ અભિગમને આવકારતા જણાવ્યું હતું કે ઉનાળાની કઠિન પરિસ્થિતિમાં વન્યજીવો માટે પાણીની વ્યવસ્થા કરવી અત્યંત જરૂરી છે. આવા પ્રયાસોથી વન્યજીવોનું જીવન સુરક્ષિત બનશે તેમજ જૈવ વૈવિધ્યના સંરક્ષણને પણ પ્રોત્સાહન મળશે.
મહીસાગર વન વિભાગની આ કામગીરી માનવતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.




