જૂનાગઢમાં વિદ્યાર્થીઓ માટે ગ્રાહક અધિકાર અને સાયબર સુરક્ષા અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો


ડિજિટલ યુગમાં વધતી ઓનલાઈન છેતરપિંડી અને ગ્રાહક શોષણ સામે યુવા પેઢીને જાગૃત બનાવવા માટે જૂનાગઢની ખ્યાતનામ અને ઐતિહાસિક શૈક્ષણિક સંસ્થા બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કવચ કેન્દ્ર સાયબર સેલ અને અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ગ્રાહક અધિકાર તથા સાયબર સુરક્ષા અંગે સમજ અને સચેતતા વધારવાનો રહ્યો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના ત્રણ જિલ્લાના પ્રભારી શ્રી દેવાંગભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના માર્ગદર્શક વ્યાખ્યાનમાં વર્તમાન સમયમાં ગ્રાહકો સાથે થતી વિવિધ પ્રકારની છેતરપિંડી, ઑનલાઈન ફ્રોડ, ખોટી જાહેરાતો અને સેવાઓમાં ગેરરીતિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. સાથે સાથે આવા કિસ્સાઓમાં ગ્રાહકો કાયદાકીય રીતે કેવી રીતે પોતાનો હક મેળવી શકે, ફરિયાદ કેવી રીતે નોંધાવી શકાય અને કયા કાયદાઓનો આશરો લઈ શકાય તે બાબતે સ્પષ્ટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ડિજિટલ વ્યવહારમાં સાવચેતી રાખવા, અજાણ્યા લિંક્સ પર ક્લિક ન કરવા, વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવા તથા સાયબર ગુનાથી બચવા માટેના ઉપાયો વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. આ અવસરે કાર્યક્રમના સંયોજક ભાવનાબેન, ડૉ. પી. વી. બારસીયા, ડૉ. રતિલાલ કાલરીયા અને ડૉ. ચંદ્રકાંત વણકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને સક્રિય રીતે ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.

કોલેજના પ્રિન્સીપાલ શ્રી જે. આર. વાંઝાએ પોતાના પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે, જો શિક્ષિત યુવા વર્ગ ગ્રાહક અધિકાર અને કાયદાકીય જ્ઞાનથી સજ્જ રહેશે તો સમાજમાં ગ્રાહકોનું શોષણ અટકાવી શકાય. તેમણે આવા જાગૃતિ કાર્યક્રમોની આજના સમયમાં વિશેષ જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સાયબર સેલ કવચ કેન્દ્રના અધ્યક્ષ ડૉ. જીગ્નેશ કાચા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે ડિજિટલ યુગમાં વધતા સાયબર ક્રાઈમ અને તેનાથી બચવા માટેના વ્યવહારુ ઉપાયો પર વિસ્તૃત ચર્ચા કરી હતી. કાર્યક્રમના અંતે ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ. ભરત રાઠોડે આભારવિધિ કરી હતી.

આ કાર્યક્રમમાં કોલેજના તમામ વિભાગોના અધ્યાપકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક, માહિતીસભર અને વિચારપ્રેરક સાબિત થયો હતો.


  • Related Posts

    આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ભવ્ય ઉજવણી: સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત પ્રતિક છે નર્સિંગ વ્યવસાય


    GMERS Medical College ખાતે ‘આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે’ની ભવ્ય ઉજવણી રાજ્યના આરોગ્ય મંત્રી Praful Pansheriya ની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં નર્સિંગ વ્યવસાયની મહત્તા, સેવા ભાવના અને માનવતાના મૂલ્યોને ઉજાગર…


    જૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી


    Junagadh જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા યુવાનોને રોજગારની વધુ તકો ઉપલબ્ધ થાય અને નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ બની શકાય તે હેતુથી ઔદ્યોગિક ભરતીમેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *