જૂનાગઢમાં ત્રિ-દિવસીય ‘આયુષ મેળો-2026’નો ભવ્ય પ્રારંભ: આયુર્વેદના વૈજ્ઞાનિક અભિગમથી જનજાગૃતિ


નિયામક શ્રી આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ કોલેજ હોસ્પિટલ અને જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ‘આયુષ મેળો-2026’નો આજ રોજ ભવ્ય પ્રારંભ થયો છે. મેળાના પ્રથમ જ દિવસે મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો અને વિદ્યાર્થીઓએ હાજરી આપી આયુર્વેદિક જીવનશૈલી પ્રત્યે વિશેષ રસ દર્શાવ્યો હતો.

સરકારી આયુર્વેદ કોલેજના પ્રિન્સિપાલ વૈદ્ય સિદ્ધેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, સમાજમાં એવી માન્યતા છે કે આયુર્વેદ એટલે માત્ર ઉકાળા કે ફાકી, પરંતુ આ મેળો આયુર્વેદના વૈજ્ઞાનિક અભિગમને ઉજાગર કરી લોકોની ભ્રમણા દૂર કરશે. આયુર્વેદમાં આધુનિક ચિકિત્સા પદ્ધતિની જેમ પીડિયાટ્રિક્સ, ગાયનેકોલોજી, મેડિસિન અને સર્જરી જેવા વિભાગો કાર્યરત છે, જેની માહિતી સ્ટોલ દ્વારા આપવામાં આવી રહી છે.

મેળામાં મુલાકાતીઓને આયુર્વેદિક સર્જરી, ચશ્મા ઉતારવાની સારવાર તેમજ હરસ-મસા અને ભગંદર જેવી વ્યાધિઓની અસરકારક સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ પ્રકૃતિ પરીક્ષણ, હાડકાની ઘનતા માપવા માટેનો (BMD) કેમ્પ અને નિશુલ્ક બ્લડ સુગર ચેકિંગ જેવી આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

વર્તમાન સમયમાં યુવાનોમાં જંક ફૂડ અને ‘રેડી-ટુ-ઈટ’ ખોરાકનો વધતો પ્રભાવ ચિંતાજનક છે. મેળામાં ખાસ કરીને મોનોસોડિયમ ગ્લુટામેટ (MSG) જેવા કેમિકલ્સના લિવર, કિડની અને હૃદય પર થતા નુકસાન અંગે વૈજ્ઞાનિક સમજણ આપવામાં આવી રહી છે. આયુર્વેદિક સિદ્ધાંતો અપનાવી સ્વસ્થ જીવન કેવી રીતે જીવવું તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.

આયુષ મેળામાં સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલના કુલ 14 વિભાગો તેમજ 1 હોમિયોપેથી વિભાગ દ્વારા મળીને કુલ 15 પ્રદર્શન સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ઉપરાંત સ્વાસ્થ્યવર્ધક પીણાં અને ઇનોવેટિવ હેલ્ધી રેસિપીઓનું પ્રદર્શન પણ યોજાયું છે.

આ આયોજન માત્ર શહેર પૂરતું મર્યાદિત ન રહી, જિલ્લા પંચાયત હસ્તકની આયુર્વેદિક દવાખાનાઓ દ્વારા ગામડાં સુધી આયુર્વેદનો વૈજ્ઞાનિક સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. ‘આયુષ મેળો-2026’ આરોગ્ય જાગૃતિ અને પ્રિવેંટિવ હેલ્થકેર તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યો છે.


  • Related Posts

    આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ભવ્ય ઉજવણી: સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત પ્રતિક છે નર્સિંગ વ્યવસાય


    GMERS Medical College ખાતે ‘આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે’ની ભવ્ય ઉજવણી રાજ્યના આરોગ્ય મંત્રી Praful Pansheriya ની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં નર્સિંગ વ્યવસાયની મહત્તા, સેવા ભાવના અને માનવતાના મૂલ્યોને ઉજાગર…


    જૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી


    Junagadh જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા યુવાનોને રોજગારની વધુ તકો ઉપલબ્ધ થાય અને નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ બની શકાય તે હેતુથી ઔદ્યોગિક ભરતીમેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *