દેવગઢ બારીયામાં આંગણવાડી તેડાગર બહેનો માટે 2 દિવસીય રસોઈ તાલીમ યોજાઈ, પોષણયુક્ત આહાર પર ભાર


દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી સેવાઓને વધુ સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. દેવગઢ બારીયા ઘટક 1, 2 અને 3 વિસ્તારમાં આશરે 100 આંગણવાડી કેન્દ્રોની તેડાગર બહેનો માટે 2 દિવસીય રસોઈ શો તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ કાર્યક્રમ સી.ડી.પી.ઓ.ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો. તાલીમમાં બ્લોક ન્યુટ્રિશન મેનેજર તરીકે ઘટક 1માં પારગી રોશનીબેન, ઘટક 2માં મોરી વિભૂતિબેન અને ઘટક 3માં શેખવા એકતાબેન દ્વારા નોડલ તરીકે કામગીરી સંભાળી તાલીમ આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન તેડાગર બહેનોને પોષણયુક્ત અને સ્વચ્છ ભોજન તૈયાર કરવાની પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને 3 થી 6 વર્ષના બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓ માટે યોગ્ય આહાર કેવી રીતે બનાવવો તે અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સોમવારથી શનિવાર સુધીના મેનુ અનુસાર સવારના ગરમ નાસ્તા માટે સુખડી, શીરો, પુલાવ અને મુઠીયા જેવી વાનગીઓ બનાવવાની રીત સમજાવવામાં આવી હતી.

તે ઉપરાંત બપોરના ભોજન માટે દાળ-ભાત, મગના થેપલા, ચણા પરાઠા અને શાકભાજી સાથે પોષણ સુધા મેનુની વિવિધ વાનગીઓ બનાવવાની તાલીમ આપવામાં આવી. ખાસ કરીને માતૃ શક્તિ પેકેટનો ઉપયોગ કરીને પોષણયુક્ત વાનગીઓ તૈયાર કરવાની પ્રાયોગિક સમજણ પણ આપવામાં આવી હતી.

તાલીમ દરમિયાન ખોરાકની સ્વચ્છતા, પોષણનું મહત્વ અને ગુણવત્તાસભર આહાર બનાવવાની યોગ્ય પદ્ધતિઓ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેડાગર બહેનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો અને તેમણે શીખેલી બાબતોને પોતાના આંગણવાડી કેન્દ્રોમાં અમલમાં મૂકવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ તાલીમથી બાળકો તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને વધુ પોષણયુક્ત આહાર ઉપલબ્ધ થશે અને આંગણવાડી સેવાઓની ગુણવત્તામાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


  • Related Posts

    આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ભવ્ય ઉજવણી: સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત પ્રતિક છે નર્સિંગ વ્યવસાય


    GMERS Medical College ખાતે ‘આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે’ની ભવ્ય ઉજવણી રાજ્યના આરોગ્ય મંત્રી Praful Pansheriya ની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં નર્સિંગ વ્યવસાયની મહત્તા, સેવા ભાવના અને માનવતાના મૂલ્યોને ઉજાગર…


    જૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી


    Junagadh જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા યુવાનોને રોજગારની વધુ તકો ઉપલબ્ધ થાય અને નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ બની શકાય તે હેતુથી ઔદ્યોગિક ભરતીમેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *