
વડોદરા શહેરમાં સરદાર ધામના ભવ્ય લોકાર્પણ કાર્યક્રમને લઈને રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર આ વિશેષ જાહેર કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ વિભાગો સુમેળભેર કામગીરી કરી રહ્યા છે. કાર્યક્રમને લઈને રાજ્ય સરકારના પ્રભારી તરીકે ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠક દરમિયાન સુરક્ષા વ્યવસ્થા, પાર્કિંગ, ટ્રાફિક નિયંત્રણ, આગમન-પ્રસ્થાન માર્ગ, આરોગ્ય સેવાઓ તેમજ નાગરિકોને આપવામાં આવનારી સુવિધાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ઉપ મુખ્યમંત્રીએ વિવિધ વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી કે કાર્યક્રમ દરમિયાન લોકો માટે સરળતા અને સુવિધા જળવાઈ રહે તે માટે સંપૂર્ણ સંકલન સાથે જવાબદારીઓ નિભાવવી જરૂરી છે.
બેઠક પૂર્ણ થયા બાદ ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાનના નિર્ધારિત રૂટની સ્થળ પર જઈને મુલાકાત લીધી હતી. તેમણે રૂટ પર સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક સિસ્ટમ, માર્ગ સુવિધાઓ તેમજ અન્ય જરૂરી બાબતોનું નિરીક્ષણ કર્યું હતું. સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપતાં તેમણે કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારની અસુવિધા ન સર્જાય તે માટે સતર્કતા અને સમયબદ્ધ કામગીરી સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.
વડોદરા શહેરમાં યોજાનાર આ જાહેર લોકાર્પણ કાર્યક્રમ રાજ્ય માટે ગૌરવપૂર્ણ અવસર બની રહે તે દિશામાં તંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા હોવાથી સુરક્ષા અને વ્યવસ્થાપનને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાને મજબૂત બનાવવા તેમજ પાર્કિંગ માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગો સંકલિત રીતે કાર્ય કરી રહ્યા હોવાનું આ પ્રસંગે જણાવાયું હતું. અધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સરદાર ધામ લોકાર્પણ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને વડોદરા શહેર માટે ઐતિહાસિક ક્ષણ સાબિત થશે.




