
સુરત જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઓલપાડ તાલુકાના જીણોદ ગામે ઓબીસી પરિવારના વિજયાબેન રામજીભાઈ પટેલના ઘરે જઈ સાદગીભર્યો ભોજન કરી ગ્રામ્ય જીવન સાથેનો નજીકનો સંબંધ વ્યક્ત કર્યો હતો. રાજ્યપાલશ્રીની આ મુલાકાત ગામલોકો માટે ગૌરવપૂર્ણ ક્ષણ બની રહી હતી.
રાજ્યપાલશ્રીએ અત્યંત સહજતા અને આત્મીયતા સાથે પરિવારના તમામ સભ્યો સાથે સંવાદ કર્યો હતો. તેમણે પરિવારની જીવન પરિસ્થિતિ, રોજિંદા જીવન અને સંઘર્ષ અંગે પૃચ્છા કરી અને ખૂબ જ રસપૂર્વક તેમની વાતો સાંભળી હતી. વિજયાબેન તથા તેમના પરિવાર સાથે રાજ્યપાલશ્રીએ પ્રેમભર્યો વાર્તાલાપ કર્યો હતો, જેના કારણે પરિવારજનોમાં ખાસ આનંદ જોવા મળ્યો હતો.
ભોજન દરમિયાન રાજ્યપાલશ્રીએ પરિવારના સભ્યો પાસેથી રોજગાર, ખેતી, પશુપાલન અને જીવન નિર્વાહ વિશે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે ખેતી અને પશુપાલન ક્ષેત્રે આવતા પડકારો અંગે પણ ચર્ચા કરી અને પરંપરાગત પદ્ધતિઓ સાથે આધુનિકતા જોડવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.
રાજ્યપાલશ્રીએ ગ્રામ્ય પરિવારોના જીવનમાં આવતી મુશ્કેલીઓ અંગે સંવેદના વ્યક્ત કરી અને સરકાર દ્વારા ઉપલબ્ધ વિવિધ યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય અને રોજગારના ક્ષેત્રમાં સતત પ્રયત્નો જરૂરી છે.
આ મુલાકાત માત્ર એક ભોજન પૂરતી મર્યાદિત રહી નહોતી, પરંતુ રાજ્યપાલશ્રીની લોકો સાથે સીધી જોડાણ સ્થાપિત કરવાની ભાવનાનું પ્રતિબિંબ બની રહી હતી. જીણોદ ગામમાં તેમની આ સાદગી અને આત્મીયતાએ લોકોના હૃદય જીતી લીધા હતા.
રાજ્યપાલશ્રીની આ મુલાકાતથી ગ્રામજનોમાં નવી પ્રેરણા અને ઉત્સાહનો સંચાર થયો હતો, તેમજ સરકાર અને લોકો વચ્ચેના સબંધોને વધુ મજબૂત બનાવવાનો સંદેશ પણ મળ્યો હતો.




