
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કરંજ ગામે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રગતિશીલ ખેડૂત મનહરભાઈ લાડના પ્રાકૃતિક ખેતરની મુલાકાત લઈને ખેડૂતોને નવી દિશા અને પ્રેરણા આપી હતી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ખેતી અને પશુપાલન સાથે જોડાયેલી પરંપરાગત પદ્ધતિઓને નજીકથી જાણી અને તેની મહત્વતા પર ભાર મૂક્યો હતો.
રાજ્યપાલશ્રીએ ખેતર ખાતે ગાયનું દોહન કરી ગ્રામ્ય જીવન સાથેનો પોતાનો આત્મીય સંબંધ વ્યક્ત કર્યો હતો. સાથે જ તેઓએ બળદગાડું હાંકીને ખેતીની પરંપરાગત રીતો પ્રત્યે પોતાની લાગણી દર્શાવી હતી. તેમની આ સાદગી અને જોડાણભાવના ખેડૂતોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આ મુલાકાત દરમિયાન આસપાસના ગામોના આશરે 100 જેટલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે રાજ્યપાલશ્રીએ સીધી ચર્ચા કરી હતી. તેમણે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે “ખેતર એ જ ખેડૂતનું મંદિર છે,” અને પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનની ઉર્વરતા જાળવી રાખી શકાય છે તેમજ માનવ જીવનનું સ્વાસ્થ્ય પણ સુધારી શકાય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેડૂતોની આવક સાથે તેમની સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે.
રાજ્યપાલશ્રીએ ખેડૂતોને રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધતા ઉપયોગથી થતા નુકસાન અંગે સચેત કર્યા અને પ્રાકૃતિક પદ્ધતિઓ તરફ વળવાની સલાહ આપી હતી. તેમણે ગાય આધારિત ખેતી, ઓર્ગેનિક ખાતર અને પર્યાવરણને અનુકૂળ રીતો અપનાવવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમ ખેડૂતો માટે ખૂબ જ પ્રેરણાદાયી સાબિત થયો હતો. રાજ્યપાલશ્રીના માર્ગદર્શનથી ખેડૂતોમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થયો હતો. કરંજ ગામમાં યોજાયેલો આ કાર્યક્રમ પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે.





