
માધવપુર ઘેડ ખાતે યોજાયેલા પ્રખ્યાત મેળામાં આ વર્ષે ઉત્તરપૂર્વીય રાજ્યોના કારીગરોની અનોખી કલા અને કસબે મુલાકાતીઓનું વિશેષ ધ્યાન આકર્ષ્યું હતું. મેળાના હસ્તકલા હાટમાં આસામ, મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાંથી આવેલા કારીગરોએ પોતાની પરંપરાગત હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કર્યું હતું.
આ હસ્તકલા હાટમાં “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ની ભાવનાની જીવંત ઝલક જોવા મળી હતી. વાસ, લાકડું અને વૃક્ષોની છાલમાંથી બનાવેલી અવનવી હસ્તકલાત્મક વસ્તુઓએ મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પરંપરાગત આભૂષણો, હસ્તનિર્મિત કપડાં, શો-પીસ અને ઘરગથ્થુ ઉપયોગી વસ્તુઓને લોકો દ્વારા ભારે પ્રશંસા મળી હતી.
આસામના કારીગર બિનય કૃષ્ણભાઈ છેલ્લા ચાર વર્ષથી માધવપુર મેળામાં પોતાની હસ્તકલા વેચવા આવે છે. તેઓ પોતાના પૂર્વજોની પરંપરાને આગળ વધારી વૃક્ષોની છાલમાંથી ચાદર, પર્સ, ડાઇનિંગ ટેબલ સેટ અને સોફા કવર જેવી નવીન વસ્તુઓ બનાવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા મળતા પ્લેટફોર્મથી તેમને પોતાની કલા પ્રદર્શિત કરવાની અને આવક વધારવાની તક મળી છે.
ત્રિપુરાની કારીગર સંગિતા જમાલીયાએ જંગલના સૂકા લાકડાં અને છાલમાંથી બનાવેલા જ્વેલરી બોક્સ અને વાંસની હેન્ડલૂમ વસ્તુઓ રજૂ કરી હતી. તેમની બનાવટમાં સ્થાનિક લોકકલા અને સંસ્કૃતિની ઝલક સ્પષ્ટ દેખાતી હતી. તેમણે રાજ્ય સરકાર અને આયોજન માટે આભાર વ્યક્ત કર્યો હતો.
મણિપુરથી આવેલા કારીગરોએ કાનના ઝૂમખા, મણકાની માળાઓ, પરંપરાગત વસ્ત્રો અને અન્ય હસ્તનિર્મિત વસ્તુઓ રજૂ કરી હતી, જે મેળામાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ ઉત્તરપૂર્વીય કારીગરોને વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવવાનો અને તેમની આજીવિકાને મજબૂત બનાવવાનો છે. સાથે સાથે દેશની સાંસ્કૃતિક એકતા અને વૈવિધ્યતાને પ્રોત્સાહન આપવાનું પણ મહત્વપૂર્ણ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા માધવપુર મેળાને રાષ્ટ્રીય કક્ષાનું મહત્વ અપાતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાતા આ મેળાએ દેશની એકતાને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.




