
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તા. 20 અને 25 ફેબ્રુઆરીએ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામે દ્વિદિવસીય ‘ગ્રામ કલ્યાણલક્ષી’ પ્રવાસે જવાના છે. આ પ્રવાસ દરમિયાન તેઓ કુદરતી ખેતી, ગ્રામ વિકાસ અને જનસંપર્ક સંબંધિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. રાજ્યપાલશ્રીનો આ પ્રવાસ ગામડાઓમાં સર્વાંગી વિકાસ અને આત્મનિર્ભરતા માટે પ્રેરણાદાયી માનવામાં આવે છે.
પ્રવાસના પ્રથમ દિવસે તા. 20 ફેબ્રુઆરીના રોજ સાંજે 4:00 કલાકે ભાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યપાલશ્રી સેવા સેતુ યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરશે. ઉપરાંત, કૃષિ મિત્રો, સરપંચશ્રીઓ અને ભાદરા તાલુકાના ખેડૂતો સાથે કુદરતી ખેતી વિષયક ચર્ચા કરીને તેમને માર્ગદર્શન આપશે. કાર્યક્રમના અંતે રાજ્યપાલશ્રી ઉપસ્થિત જનમેદનીને સંબોધન પણ કરશે.
સાંજે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ભાદરા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે, જેમાં રાજ્યપાલશ્રી સ્વયં ભાગ લેશે. ત્યારબાદ ગામ પંચાયત નજીક સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવશે. ગામલોકો સાથે ‘ખાટલા પરિષદ’ યોજીને તેઓ ગ્રામજનોની સમસ્યાઓ સાંભળશે અને સીધો સંવાદ સ્થાપિત કરશે. વિશેષરૂપે, રાજ્યપાલશ્રી ગામની પ્રાથમિક શાળામાં રાત્રિ નિવાસ કરીને ગ્રામ્ય જીવન સાથે જોડાણ મજબૂત બનાવશે.
પ્રવાસના બીજા દિવસે તા. 25 ફેબ્રુઆરીએ રાજ્યપાલશ્રી ભાદરા ગામની કુદરતી ખેતી ફાર્મની મુલાકાત લેશે. અહીં તેઓ કૃષિ પ્રવૃત્તિઓમાં સહભાગી બનીને ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે અને કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માર્ગદર્શન આપશે.
રાજ્યપાલશ્રીનો આ ગ્રામ કલ્યાણલક્ષી પ્રવાસ ગ્રામ વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને કૃષિ ક્ષેત્રે નવી દિશા આપનાર સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગામડાઓના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણ માટે આ પહેલ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.





