
જૂનાગઢ તા. 5: ગિરનાર તળેટી ભવનાથ વિસ્તારમાં આવેલા અનેક આસ્થાકેન્દ્રોમાં નિલકંઠ મહાદેવનું મંદિર વિશેષ મહાત્મ્ય ધરાવે છે. રૈવતાચલ–ગિરનાર પર્વતની ગોદમાં સ્થિત આ મંદિર ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સ્થાપિત થયેલું હોવાનું પુરાણોમાં વર્ણન મળે છે. દામોદર કુંડ નજીક આવેલ આ પવિત્ર ધામે મહાશિવરાત્રિ પર્વ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ શિવભક્તિમાં લીન થઈને નમન કરે છે.
પૌરાણિક માન્યતાઓ મુજબ, ભગવાન શ્રીકૃષ્ણે અહીં મહાદેવની સ્થાપના કરી તેમની આરાધના કરી હતી. શ્રીમદ્ ભાગવત પુરાણમાં વર્ણવેલી કથા અનુસાર, શ્રીકૃષ્ણ સામે યુદ્ધ માટે ઉત્સુક કાલયવનને પરાજિત કરવું સીધા યુદ્ધથી શક્ય ન હતું, કારણ કે તેને ભગવાન શિવના વરદાનથી અપરાજિત માનવામાં આવતો હતો. પોતાની ચાતુર્યપૂર્ણ લીલા દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ કાલયવનને ગિરનાર પર્વત સુધી લાવી પહોંચ્યા.
આ રૈવતાચલ પર્વતની ગુફામાં દેવતાઓ માટે દાનવો સામે યુદ્ધ કરી થાકી ગયેલા Muchkund રાજા ઇન્દ્રદેવના વરદાનથી નિદ્રામાં લીન હતા. શ્રીકૃષ્ણની યોજના મુજબ કાલયવન Muchkund રાજાને શ્રીકૃષ્ણ સમજીને જગાડવાનો પ્રયાસ કરે છે. નિદ્રા ભંગ થતા જ Muchkund રાજાની દૃષ્ટિ પડતા કાલયવન ભસ્મીભૂત થઈ જાય છે. આ પ્રસંગે Muchkund રાજાને ભગવાન શ્રીકૃષ્ણ પોતાના સંપૂર્ણ સ્વરૂપે દર્શન આપે છે. આ પવિત્ર સ્થળે જ ભગવાન શ્રીકૃષ્ણે નિલકંઠ મહાદેવની સ્થાપના કરી હતી એવી લોકમાન્યતા છે.
મહાશિવરાત્રિના પાવન અવસરે નિલકંઠ મહાદેવ મંદિર, Muchkund ગુફા તેમજ સ્વયંભૂ Muchkund મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુઓનો વિશાળ પ્રવાહ જોવા મળે છે. અહીં અન્નપૂર્ણા માતાજી, લક્કડભારતી મહારાજ, અમરભારતી બાપુ, કાલભૈરવ સહિતના અનેક આસ્થાકેન્દ્રો પણ સ્થિત છે. સમગ્ર વિસ્તાર હાલ ભવનાથ મંદિર ટ્રસ્ટના સંચાલન હેઠળ છે.
આ વર્ષે મહાશિવરાત્રિ મેળાનું આયોજન રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. શ્રદ્ધા, ઇતિહાસ અને આધ્યાત્મિકતાનું અનોખું સંગમ ધરાવતું નિલકંઠ મહાદેવ મંદિર મહાશિવરાત્રિ પર્વે શિવભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.





