જામનગર જિલ્લામાં બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાનો અસરકારક અમલ, કલેક્ટર કેતન ઠક્કરના હસ્તે નવજાત જુડવા દીકરીઓને દીકરી વધામણા કીટનું વિતરણ


જામનગર: સમાજમાં દીકરીઓની આર્થિક અને સામાજિક સ્થિતિ વધુ મજબૂત બને, દીકરીઓના જન્મદરને પ્રોત્સાહન મળે, શિક્ષણમાં ડ્રોપઆઉટ ઘટે તેમજ બાળલગ્ન જેવી કુપ્રીયાઓ અટકે તેવા હેતુ સાથે ભારત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાનો જામનગર જિલ્લામાં અસરકારક અમલ થઈ રહ્યો છે. જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન અને સતત પ્રેરણા હેઠળ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા દીકરીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ પરિણામલક્ષી પહેલો અમલમાં મૂકવામાં આવી રહી છે.

આ અનુસંધાને મહિલા અને બાળ અધિકારી કચેરી જામનગર દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરના હસ્તે તાજેતરમાં જન્મેલ નવજાત જુડવા દીકરીઓને દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટ દ્વારા દીકરીના જન્મને ઉજવણીરૂપ બનાવવાનો અને પરિવારજનોમાં દીકરી પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન કલેક્ટરશ્રીએ લાભાર્થી પરિવારજનોને દીકરીના જન્મ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દીકરીઓ માત્ર પરિવાર નહીં પરંતુ સમગ્ર સમાજની પ્રગતિનું આધારસ્તંભ છે. દીકરીઓને શિક્ષિત અને સશક્ત બનાવવાથી સમાજ વધુ મજબૂત અને સમતાભર્યો બને છે. તેમણે દીકરીઓને યોગ્ય શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા આપવાની જવાબદારી પરિવાર અને સમાજ બંનેની હોવાનું પણ ઉલ્લેખ્યું હતું.

આ પ્રસંગે લાભાર્થી પરિવારજનોને રાજ્ય સરકારની વ્હાલી દીકરી યોજનાના અરજી ફોર્મ આપવામાં આવ્યા હતા. સાથે જ યોજનાના લાભ, પાત્રતા માપદંડ અને અરજી પ્રક્રિયા અંગે સરળ અને સમજાય તેવી ભાષામાં વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ યોજનાથી દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવવામાં તેમજ તેમના શિક્ષણને પ્રોત્સાહન આપવામાં મહત્વની મદદ મળી રહે છે.

જામનગર જિલ્લામાં બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાના સતત અને સકારાત્મક અમલના કારણે સમાજમાં દીકરીઓ પ્રત્યેનો અભિગમ બદલાઈ રહ્યો છે. દીકરીના જન્મને ઉત્સવરૂપે ઉજવવાની સંસ્કૃતિ વિકસે તે દિશામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવા કાર્યક્રમો યોજી સમાજને સકારાત્મક સંદેશ આપવામાં આવી રહ્યો છે.


  • Related Posts

    આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ભવ્ય ઉજવણી: સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત પ્રતિક છે નર્સિંગ વ્યવસાય


    GMERS Medical College ખાતે ‘આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે’ની ભવ્ય ઉજવણી રાજ્યના આરોગ્ય મંત્રી Praful Pansheriya ની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં નર્સિંગ વ્યવસાયની મહત્તા, સેવા ભાવના અને માનવતાના મૂલ્યોને ઉજાગર…


    જૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી


    Junagadh જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા યુવાનોને રોજગારની વધુ તકો ઉપલબ્ધ થાય અને નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ બની શકાય તે હેતુથી ઔદ્યોગિક ભરતીમેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *