
જામનગર તા. 19 જાન્યુઆરી: જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જામનગર જિલ્લાના ધારાસભ્યો શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી મેઘજીભાઈ ચાવડા અને શ્રી હેમંતભાઈ ખવાએ પોતાના વિસ્તારમાંથી મળેલા વિવિધ લોકપ્રશ્નો અને રજૂઆતો રજૂ કરી હતી. કલેક્ટરશ્રીએ આ તમામ પ્રશ્નોને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ સંબંધિત વિભાગોના અધિકારીઓને સમયમર્યાદામાં હકારાત્મક ઉકેલ લાવવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
બેઠક દરમિયાન અગાઉના પડતર પ્રશ્નોની સમીક્ષા સાથે સાથે વિવિધ વિભાગોને લગતા નવા પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. તેમાં આરોગ્ય કેન્દ્રો અને આંગણવાડીઓના બાંધકામ અને સુવિધાઓ, સનદ સંબંધિત પ્રશ્નો, કોઝવે અને નવા પુલોના નિર્માણ, ઘરથાળ પ્લોટ ફાળવણી, અન્ડરગ્રાઉન્ડ બ્રિજ નીચેના રસ્તા ખુલ્લા કરવા તેમજ પી.એચ.સી. સેન્ટરોમાં એમ્બ્યુલન્સ ફાળવણી જેવા મુદ્દાઓ મુખ્ય રહ્યા હતા.
ખેડૂતો અને ગ્રામ્ય પ્રજાને સ્પર્શતા વીજ પુરવઠા સંબંધિત પ્રશ્નો પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. જેમાં ગામતળથી દૂર વીજ લાઈનો ખસેડવી, ટ્રાન્સફોર્મર (ટી.સી.) બદલવા, નવા સબ સ્ટેશન બનાવવું, પવનચક્કી અને વીજ લાઈનના પ્રશ્નો, નિયમિત વીજ પુરવઠો તેમજ ઔદ્યોગિક ઝોન અને જે.જી.વાય. ફીડરને અલગ કરવાની બાબતોની વિસ્તૃત સમીક્ષા કરાઈ હતી. સાથે જ જમીન સંપાદનના વળતર, ગૌચર અને સરકારી ખરાબામાંથી દબાણો દૂર કરવા, ફોરેસ્ટ જમીનની માપણી, પ્રોપર્ટી કાર્ડ તથા પ્રમોલગેશન બાદ ઊભી થયેલી ક્ષતિઓ સુધારવા જેવી મહેસૂલી બાબતો પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ઉપરાંત પીવાના પાણી માટે નવી પાઇપલાઇન નાખવી, ચેકડેમ અને કેનાલના ગેટનું રિપેરિંગ, જાડા (JADA) હેઠળના નવા ગામોમાં વિકાસલક્ષી કામો અને ટી.પી. સ્કીમના પ્લોટની હરાજી જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
કલેક્ટરશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જનપ્રતિનિધિઓ તરફથી આવેલી રજૂઆતોને અગ્રતા આપી તેનો ઝડપી અને હકારાત્મક ઉકેલ લાવવો અત્યંત જરૂરી છે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિકુમાર સૈની સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.





