
દાહોદ જિલ્લામાં ‘સુપોષિત ભારત’ના સંદેશને સાકાર કરવા માટે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘પોષણ ઉડાન’ કાર્યક્રમની વ્યાપક ઉજવણી કરવામાં આવી હતી. દાહોદ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગર્ભવતી માતાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને નાના બાળકોને પોષણ અંગે જાગૃત કરવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો હતો.
જિલ્લા કાર્યક્રમ અધિકારી શ્રીમતી ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કેન્દ્રોમાં પોષણ ઉડાનની ઉજવણી કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સ્વસ્થ માતા જ સ્વસ્થ બાળકને જન્મ આપે છે, તેથી માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધારો કરવો રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. આ દિશામાં અમલમાં મૂકાયેલી વિવિધ યોજનાઓથી સકારાત્મક પરિણામો મળી રહ્યા છે.
પોષણ ઉડાન અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં ‘માતૃ શક્તિ’, ‘પૂર્ણા શક્તિ’ અને ‘બાળ શક્તિ’માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન ગ્રામજનો સમક્ષ કરવામાં આવ્યું હતું. આ અનોખી અને પૌષ્ટિક રેસીપી દ્વારા લોકોને સંતુલિત આહાર અંગે જાગૃતિ આપવામાં આવી હતી. સાથે જ, દર મહિને બાળકોનું વજન અને ઊંચાઈ માપવામાં આવી રહી છે તેમજ ગર્ભવતી અને ધાત્રી માતાઓના હિમોગ્લોબિનની તપાસ દર ત્રણ મહિને કરવામાં આવે છે.
ગર્ભવતી અને ધાત્રી માતાઓને પોષણ સુધારણા યોજના અંતર્ગત પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. કિશોરીઓ દ્વારા પતંગ પર પોષણ સંબંધિત સૂત્રો લખી ‘પોષણ ઉડાન’નો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જે લોકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ પ્રવૃત્તિઓ દ્વારા પોષણ પ્રત્યે સામૂહિક જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આંગણવાડી કેન્દ્રોના લાભાર્થીઓ જેમ કે ગર્ભવતી માતાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ તેમજ 6 મહિના થી 7 વર્ષ સુધીના બાળકોને સરકાર દ્વારા મફત ટેક હોમ રેશન આપવામાં આવે છે. ઉપરાંત, બાળકોને રોજ ફ્લેવર મિલ્ક આપવામાં આવે છે અને તમામ પોષણ સંબંધિત માહિતી પોષણ ટ્રેકરમાં દાખલ કરવામાં આવે છે.
કાર્યક્રમ દરમિયાન શ્રી અન્ન (મિલેટ્સ), સરગવા સહિતના પૌષ્ટિક ખોરાકમાંથી બનતી વાનગીઓના મહત્વ અંગે આંગણવાડી બહેનો દ્વારા સમજ આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં પોષણ ઉડાન કાર્યક્રમ દ્વારા “સહી પોષણ”ના સંદેશને ઘર-ઘર સુધી પહોંચાડવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.





