
ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશન અને સુરત જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત આયોજન હેઠળ સુવાળી બીચ પર આયોજિત ત્રણ દિવસીય સુવાળી બીચ ફેસ્ટિવલનો રંગીન અને ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. દરિયાકાંઠા પર્યટનને પ્રોત્સાહન આપવા તેમજ ગુજરાતના વિવિધ બીચોને પ્રવાસન નકશા પર ઉજાગર કરવા માટે યોજાયેલા આ ઉત્સવનું ઉદ્ઘાટન સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ અને ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું. આ અવસરે ધારાસભ્યશ્રીઓ શ્રી મનુભાઈ પટેલ, શ્રી પ્રવેણભાઈ ઘોઘરી, શ્રી અરવિંદ રાણા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ હાજર રહ્યા હતા.
ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ શ્રી મુકેશભાઈ દલાલે જણાવ્યું હતું કે ગુજરાત પ્રાકૃતિક સંસાધનોથી સમૃદ્ધ રાજ્ય છે. રાજ્ય સરકાર સુવાળી કાંઠાને આધુનિક સુવિધાઓથી સજ્જ કરી એક સુંદર અને આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. સુવાળી બીચ આજે સુરત સહિત આસપાસના વિસ્તારો માટે રોજગાર સર્જનનું કેન્દ્ર બની રહ્યું છે તેમજ પ્રવાસનપ્રેમીઓમાં તેની લોકપ્રિયતા સતત વધી રહી છે.
ચોર્યાસી ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ સુવાળી બીચને વિકસિત પ્રવાસન સ્થળ બનાવવા સરકાર તૈયાર છે. શહેરમાં પ્રવાસન સુવિધાઓમાં વધારો થવાથી આસપાસના ગામોના લોકોને રોજગારની નવી તકો મળશે.
ફેસ્ટિવલના પ્રથમ દિવસે પ્રસિદ્ધ લોકગાયક પિતા-પુત્ર ઓસ્માન મીર અને આમિર મીરે પોતાની સંગીતમય રજૂઆતથી ઉપસ્થિત જનસમૂહને મંત્રમુગ્ધ કરી દીધો. હજારોની સંખ્યામાં લોકો સંગીતની રમઝટ માણવા ઉમટી પડ્યા હતા. ઓસ્માન મીરે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ભાવનાને અનુરૂપ શિવવંદના અને શિવ તાંડવની ભવ્ય રજૂઆત કરી, જેને શ્રોતાઓએ ઊભા રહી તાળીઓ વગાડી વધાવી હતી.
સુવાળી બીચ ફેસ્ટિવલ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત, લોકકલા, ફૂડ ઝોન અને દરિયાકાંઠાની સુહાની માહોલનો આનંદ માણવાની તક મળશે. 5 જાન્યુઆરી સુધી ચાલનારા આ ઉત્સવમાં પરિવાર સાથે મનોરંજન અને પ્રવાસનનો અનોખો અનુભવ કરવા મોટી સંખ્યામાં લોકો હાજરી આપી રહ્યા છે.





