
ગુજરાત સરકારના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના શિવરાજપુર ગામ ખાતે સરકારી માધ્યમિક શાળાના ખાતમુહૂર્ત કાર્યક્રમ તથા આંબરડી ક્લસ્ટર લેવલ ફેડરેશનની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ, શિક્ષણ અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપતા અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રીએ રૂ. 2.69 કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી માધ્યમિક શાળાનું વિધિવત ભૂમિપૂજન કર્યું હતું. નવી શાળા નિર્માણથી શિવરાજપુર સહિત આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ માટે સુવિધા મળશે અને શિક્ષણ ક્ષેત્રે વિસ્તારને નવી ગતિ મળશે, તેવું મંત્રીશ્રીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે સરકારનું લક્ષ્ય ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણની સુવિધાઓ મજબૂત બનાવી વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું છે.
કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક સિદ્ધિ માટે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોના હસ્તે ધોરણ 9 અને ધોરણ 10માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને ગૌરવ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને સતત મહેનત, શિસ્ત અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી.
આ સાથે આંબરડી ક્લસ્ટર લેવલ ફેડરેશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં મહિલા સશક્તિકરણના પ્રયાસોને ઉજાગર કરવામાં આવ્યા હતા. ફેડરેશન અંતર્ગત બે બહેનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ સખી મંડળોને સી.આઈ.એફ. ફંડ અંતર્ગત ચેકો વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત બેંક સખી અને કૃષિ સખીને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્વસહાય જૂથો અને સખી મંડળો દ્વારા મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે, જે ગ્રામ્ય વિકાસનું મજબૂત આધારસ્તંભ છે. રાજ્ય સરકાર મહિલાઓ અને યુવાનોના સશક્તિકરણ માટે સતત કાર્યરત છે.
આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, અધિકારીઓ, ગ્રામજનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા ફેડરેશનના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





