
ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યમંત્રી ડૉ. મનીષાબેન લોયરે કામરેજ તાલુકાના અંબોલી ખાતે આવેલ ‘જન્નીધામ’ મહિલા સુરક્ષા ગૃહની ઔપચારિક મુલાકાત લીધી હતી. આ મહિલા સુરક્ષા ગૃહ ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ આયોગ, ગાંધીનગરના અધિનસ્ત કાર્યરત છે. આ ઉપરાંત, કામરેજના ખોલવડ ખાતે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ‘વાત્સલ્યધામ’ની પણ રાજ્યમંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન ડૉ. મનીષાબેન લોયરે મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ સાથે મળીને અંબોલી સ્થિત જન્નીધામમાં આશ્રય લઈ રહેલી મહિલાઓ માટે ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મહિલા સુરક્ષા ગૃહના મેડિકલ રૂમ, રસોડા તેમજ નિવાસ વ્યવસ્થાની તપાસ કરી અને સ્વચ્છતા તથા વ્યવસ્થાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
રાજ્યમંત્રીશ્રીએ જન્નીધામમાં આશ્રય લઈ રહેલી દરેક બહેન સાથે વ્યક્તિગત રીતે સંવાદ સાધી તેમની દૈનિક જીવનશૈલી, મળતી સુવિધાઓ તેમજ કોઈપણ પ્રકારની જરૂરિયાતો અંગે માહિતી મેળવી હતી. તેમણે બહેનોને સરકાર તરફથી મળતા સહારો અને સુરક્ષા અંગે વિશ્વાસ આપતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર મહિલાઓના હક્કો, સુરક્ષા અને પુનર્વસન માટે સતત પ્રતિબદ્ધ છે.
ખોલવડ સ્થિત વાત્સલ્યધામની મુલાકાત દરમિયાન પણ રાજ્યમંત્રીશ્રીએ સંસ્થાના કાર્યની પ્રશંસા કરી હતી. તેમણે સંચાલકો સાથે ચર્ચા કરીને સંસ્થામાં રહેતા બાળકો અને મહિલાઓના કલ્યાણ માટે લેવાતા પગલાં અંગે માહિતી મેળવી હતી. સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા સેવા કાર્યો સમાજ માટે પ્રેરણારૂપ હોવાનું તેમણે જણાવ્યું હતું.
ડૉ. મનીષાબેન લોયરે જણાવ્યું હતું કે મહિલા સુરક્ષા ગૃહો માત્ર આશ્રયસ્થાન નથી, પરંતુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે માર્ગદર્શક કેન્દ્રો છે. રાજ્ય સરકાર આવા ગૃહોમાં રહેનાર મહિલાઓને સુરક્ષિત વાતાવરણ, આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસની તમામ સુવિધાઓ પૂરી પાડવા સતત પ્રયત્નશીલ છે.
આ મુલાકાતથી મહિલા સુરક્ષા અને કલ્યાણ માટે સરકારની સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતા વધુ સ્પષ્ટ બની છે.





