
સુરત જિલ્લા વિકાસ સંકલન અને મોનિટરિંગ સમિતિ (દિશા)ની મહત્વપૂર્ણ બેઠક જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માનનીય સાંસદ શ્રી મુકેશભાઈ દલાલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની અમલવારીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કાર્યોની પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન સાંસદ શ્રી મુકેશભાઈ દલાલે સાંસદ ફંડ હેઠળ ફાળવાયેલ અનુદાનનો સમયમર્યાદામાં યોગ્ય ઉપયોગ કરવાની તાકીદ કરી હતી. તેમણે અધિકારીઓને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું કે વિકાસ કાર્યો માત્ર સમયસર પૂર્ણ થાય એટલું જ નહીં, પરંતુ તેની ગુણવત્તા પણ ઉત્તમ રહે તે માટે અસરકારક મિકેનિઝમ અપનાવવો જરૂરી છે. જાહેર નાણાંનો શ્રેષ્ઠ ઉપયોગ થાય અને નાગરિકોને લાંબા ગાળે લાભ મળે તેવા કાર્ય પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
સાંસદશ્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ જિલ્લામાં દરેક લાયક નાગરિક સુધી પહોંચે તે દિશામાં સંયુક્ત પ્રયાસો કરવાની અપીલ કરી હતી. ખાસ કરીને ગ્રામ્ય અને વંચિત વિસ્તારોમાં મૂળભૂત જરૂરિયાતોને પ્રાથમિકતા આપી યોજનાઓ અમલમાં મૂકવા સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સમાજના દરેક વર્ગ સુધી યોજનાઓ પહોંચે તે માટે વિભાગો વચ્ચે સંકલન અત્યંત આવશ્યક છે.
બેઠકમાં કૃષિ અને બાગાયત વિભાગના અધિકારીઓને પ્રાકૃતિક ખેતી (નેચરલ ફાર્મિંગ) અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતીના લાભો અંગે ખેડૂતોને માહિતગાર કરવા માટે સોશિયલ મીડિયા સહિત વિવિધ માધ્યમોનો વધુમાં વધુ ઉપયોગ કરવા તેમણે આગ્રહ કર્યો હતો. આ પ્રકારની ખેતી પર્યાવરણ સંરક્ષણ અને આરોગ્ય માટે જીવનરક્ષક હોવાનું તેમણે જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારની ટીબી મુક્ત ભારત અભિયાન પ્રત્યેની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને સાંસદશ્રીએ ટીબી સામે લડવા માટે વધુમાં વધુ કેમ્પો યોજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. લોકોમાં જાગૃતિ ફેલાવી સમયસર તપાસ અને સારવાર થાય તે માટે આરોગ્ય વિભાગને સક્રિય ભૂમિકા ભજવવા સૂચના આપવામાં આવી હતી.
દિશા સમિતિની આ બેઠક જિલ્લાના સર્વાંગી વિકાસ, લોકકલ્યાણ યોજનાઓની અસરકારક અમલવારી અને જનસેવામાં વધુ ગતિ લાવવાના હેતુથી મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.





