
દાહોદ જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા જિલ્લા પંચાયત દાહોદ દ્વારા “ગામે ગામ આરોગ્ય કિરણ” કાર્યક્રમ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. ઉદય ટીલાવતના દિશા સૂચન મુજબ આ કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રહેતા નાગરિકોને તેમના ગામે જ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો હેતુ સિદ્ધ થયો છે.
આ કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લાના 102 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી આરોગ્ય કેન્દ્ર વિસ્તારોમાં વિશેષ હેલ્થ કેમ્પો યોજવામાં આવ્યા હતા. આ કેમ્પોમાં કુલ 6,233 લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો, જેમાં 3,429 મહિલાઓ અને 2,804 પુરુષોનો સમાવેશ થાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાના આ પ્રયાસને લોકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે.
હેલ્થ કેમ્પોમાં વિવિધ પ્રકારની આરોગ્ય તપાસ અને સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સગર્ભા મહિલાઓની તપાસ માટે 365 મહિલાઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આયુષ્માન ભારત યોજના અંતર્ગત પી.એમ. જય એ.વાય. કાર્ડ બનાવવા માટે 416 લાભાર્થીઓને મદદ આપવામાં આવી હતી. સામાન્ય આરોગ્ય તપાસમાં 1,775 નાગરિકોની તપાસ કરવામાં આવી હતી.
બિનસંક્રામક રોગો (NCD) જેમ કે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ માટે 2,958 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. સાથે સાથે સિકલ સેલ રોગ માટે 243 વ્યક્તિઓની તપાસ, ટીબી માટે 395 વ્યક્તિઓની તપાસ, રસીકરણ સેવા હેઠળ 116 લોકોને રસી આપવામાં આવી હતી. ઉપરાંત કેન્સર સ્ક્રીનિંગ અંતર્ગત 231 લોકોની તપાસ કરવામાં આવી હતી.
આ હેલ્થ કેમ્પો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે. લોકોમાં સમયસર તપાસ અને રોગોની વહેલી ઓળખ પ્રત્યે જાગૃતિ વધી છે, જેનાથી ગંભીર બીમારીઓને અટકાવવામાં મદદ મળી રહી છે. ગામે જ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થતાં દર્દીઓને લાંબા અંતર સુધી મુસાફરી કરવાની જરૂરિયાત ઘટી છે.
દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગનો આ પ્રયાસ ખરેખર “ગામે ગામ આરોગ્ય કિરણ” તરીકે સાબિત થયો છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યનું ઉજાસ ફેલાવી લોકોને સ્વસ્થ અને સુરક્ષિત જીવન તરફ દોરી રહ્યો છે.





