કેશોદના યુવાન દીપ ઘીમેલિયાની સફળતા ગાથા: આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે હેલ્થ સપ્લીમેન્ટ ક્ષેત્રે નવી ઓળખ


સૌરાષ્ટ્રના એક નાના શહેરમાંથી ઉદ્ભવેલી યુવાન ઉદ્યોગ સાહસિકની પ્રેરણાદાયી સફળતા આજે અનેક યુવાનો માટે માર્ગદર્શક બની છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરના વતની દીપ ઘીમેલિયાએ માત્ર 23 વર્ષની ઉંમરે એક નવા અને પડકારજનક ક્ષેત્રમાં સાહસ ખેડીને આત્મનિર્ભર ભારતનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. સામાન્ય આર્થિક પરિસ્થિતિ વચ્ચે પણ મોટા સપનાઓ સાથે આગળ વધેલા દીપ આજે હેલ્થ સપ્લીમેન્ટ ઉદ્યોગમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી ચૂક્યા છે.

અભ્યાસમાં કુશળ દીપે એમ.બી.બી.એસ.નો અભ્યાસ પણ વચ્ચે છોડીને ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધવાનો નિર્ણય લીધો. હેલ્થ સપ્લીમેન્ટ અંગે સંશોધન માટે તેમણે દેશના અનેક રાજ્યો તેમજ 7–8 વિદેશી દેશોમાં પ્રવાસ કર્યો. આ અનુભવથી તેમને સમજાયું કે ગુણવત્તાવાળા હેલ્થ સપ્લીમેન્ટ સામાન્ય લોકો માટે મોંઘા અને અપરવડતા છે. આ વિચારથી પ્રેરાઈને વર્ષ 2022માં તેમણે ‘LD Foods’ નામે કંપની શરૂ કરી, જેમાં સામાન્ય જનતા માટે પરવડે તેવી કિંમતે ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીન બાર અને અન્ય પોષણયુક્ત પ્રોડક્ટ બનાવવાની શરૂઆત કરી.

દીપ ઘીમેલિયાને આત્મનિર્ભર પોલિસી ફોર MSME અંતર્ગત ગુજરાત સરકાર તરફથી રૂ. 50 લાખથી વધુની આર્થિક સહાય મળી, તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જરૂરી માર્ગદર્શન પણ મળ્યું. કેશોદના સોંદરડા ગામે શરૂ કરાયેલા યુનિટમાં આજે પ્રોટીન બાર, પ્રોટીન પાવડર, ન્યુટ્રીશન બાર, ઓડ્સ બાર સહિત 120થી વધુ હેલ્થ રિલેટેડ પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે. કંપની દર ક્વાર્ટરમાં નવી પ્રોડક્ટ લોન્ચ કરી રહી છે અને આજે દેશના 19 રાજ્યોમાં 28,000થી વધુ દુકાનો સુધી તેની પ્રોડક્ટ પહોંચે છે.

LD Foods દ્વારા ગુણવત્તા અને સ્વચ્છતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે. તમામ પ્રોડક્ટ USFDA, FSSC 22000, HALAL જેવી આંતરરાષ્ટ્રીય માન્યતાઓ ધરાવે છે. આ પ્રોડક્ટ્સ IIT જેવી સંસ્થાઓની કેન્ટીન, મોટી હોટલો, આર્મી કેન્ટીન, મિડ-ડે મીલ, અક્ષયપાત્રા ટ્રસ્ટ સહિત વિવિધ સંસ્થાઓ સુધી પહોંચે છે. આજે દીપ ઘીમેલિયા લગભગ 140 લોકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે, જેમાં 70 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે.

દીપ કહે છે કે, સંઘર્ષ દરેક નવા સાહસમાં આવે છે, પરંતુ વિશ્વાસ, ધીરજ અને ઈમાનદારી સાથે કરેલું કામ ચોક્કસ સફળતા તરફ લઈ જાય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને તેઓ સંપૂર્ણ સમર્થન આપે છે અને માને છે કે આવી નીતિઓથી નાના શહેરોના યુવાનોને વૈશ્વિક મંચ મળશે.


  • Related Posts

    કચ્છ મુલાકાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી: ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને ગણાવી મનુષ્ય અને પ્રકૃતિ માટે આશીર્વાદ


    Acharya Devvrat કચ્છ જિલ્લાના પ્રવાસે પહોંચ્યા દરમિયાન પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા અનેક કાર્યક્રમોમાં જોડાયા હતા. રાજ્યપાલશ્રીએ ભુજ તાલુકાના કોડકી અને નારાણપર (પસાયતી) ગામની મુલાકાત લઈને પ્રગતિશીલ ખેડૂતોના પ્રાકૃતિક ફાર્મનું નિરીક્ષણ…


    સોમનાથમાં ઇતિહાસ રચાશે: ૧૧ તીર્થોના જળથી મંદિરના શિખર પર પહેલીવાર કુંભાભિષેક


    પ્રથમ જ્યોતિર્લિંગ Somnath Temple ખાતે આયોજિત “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” અંતર્ગત એક ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગ સાકાર થવા જઈ રહ્યો છે. ૧૧મી મેના રોજ સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર ૧૧ પવિત્ર તીર્થોના…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *