ફતેપુરા તાલુકાના મોટી શેરો-૨ આંગણવાડી કેન્દ્રમાં ગંભીર અનિયમિતતાઓ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણે સેવા સમાપ્તીની નોટિસ આપી


દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલ મોટી શેરો-૨ આંગણવાડી કેન્દ્રની અચાનક મુલાકાત જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણે લીધી હતી. આ મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્રની કામગીરીમાં ગંભીર બેદરકારી અને અનેક અનિયમિતતાઓ સામે આવી હતી, જેને લઈ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે કડક વલણ અપનાવ્યું છે.

મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્રમાં સ્વચ્છતાનો અભાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો. સવારમાં બનાવવામાં આવેલ નાસ્તો ગુણવત્તાયુક્ત જણાયો હતો, પરંતુ પોષણ સુધા યોજના અંતર્ગત કોઈ નાસ્તો બનાવવામાં આવ્યો ન હતો. છેલ્લા બે વર્ષથી ખાલી ટીનના બારદાન સ્ટોર રૂમમાં ભરેલા હોવાનું તેમજ ખાદ્ય સામગ્રી યોગ્ય રીતે સંગ્રહિત ન હોવાનું પણ સામે આવ્યું હતું. આ ઉપરાંત ટેક હોમ રેશનનું વિતરણ ન કરવામાં આવતું હોવાની ગંભીર બાબત પણ નોંધાઈ હતી.

છ માસથી છ વર્ષના બાળકોમાં કુપોષણ દૂર કરવા તથા સર્વાંગી વિકાસ માટે પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રવૃત્તિઓ આપવાની સૂચનાઓ હોવા છતાં આંગણવાડી કેન્દ્ર પર ફક્ત પાંચ બાળકો હાજર જોવા મળ્યા હતા. અગાઉ સીડીપીઓ, મુખ્ય સેવિકા, બ્લોક ન્યુટ્રિશન મેનેજર તથા ઇન્સ્પેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી હોવા છતાં તે સમયે પણ માત્ર સાતથી દસ બાળકોની હાજરી દર્શાવવામાં આવી હતી, જે કેન્દ્રની કામગીરી પર સવાલ ઉભા કરે છે.

જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા કુપોષિત બાળકો અંગે વિગતો માંગતા પોષણ સ્તરના કોઈપણ કાર્ડ ભરવામાં ન આવ્યા હોવાની બાબત સામે આવી. ઉપરાંત, પૂર્વ પ્રાથમિક શિક્ષણની પાંચ પ્રવૃત્તિમાંથી એક પણ પ્રવૃત્તિ અમલમાં મૂકવામાં આવી ન હતી તેમજ રમતગમતની પુસ્તિકાઓ પણ ભરવામાં આવી ન હતી.

આ સમગ્ર કામગીરીનું મૂલ્યાંકન કરતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણે આંગણવાડી કાર્યકર્તા તથા હેલ્પર દ્વારા સ્વચ્છતા, પોષણ અને બાળ વિકાસ માટે કોઈ અસરકારક કામગીરી ન કરવામાં આવતી હોવાનું નિષ્કર્ષ કાઢ્યો. પરિણામે, બંનેને તેમની માનદ સેવા સમાપ્ત કરવા માટે લેખિત નોટિસ આપવામાં આવી છે.

સીડીપીઓ દ્વારા શૈક્ષણિક તથા પ્રશાસનિક કાર્યવાહી કરી તેની જાણ જિલ્લા કક્ષાએ કરવાની સૂચના પણ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા આપવામાં આવી છે. આ કાર્યવાહીથી આંગણવાડી કેન્દ્રોની જવાબદારી અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે કડક સંદેશ આપવામાં આવ્યો છે.


  • Related Posts

    આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડેની ભવ્ય ઉજવણી: સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત પ્રતિક છે નર્સિંગ વ્યવસાય


    GMERS Medical College ખાતે ‘આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે’ની ભવ્ય ઉજવણી રાજ્યના આરોગ્ય મંત્રી Praful Pansheriya ની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં નર્સિંગ વ્યવસાયની મહત્તા, સેવા ભાવના અને માનવતાના મૂલ્યોને ઉજાગર…


    જૂનાગઢ રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન: 46 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી


    Junagadh જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા યુવાનોને રોજગારની વધુ તકો ઉપલબ્ધ થાય અને નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ બની શકાય તે હેતુથી ઔદ્યોગિક ભરતીમેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ…


    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *