
સુરેન્દ્રનગર તા.: જિલ્લામાં પેટ્રોલ, ગેસ, અનાજ તેમજ અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો અવિરત જળવાઈ રહે તે માટે જિલ્લા કલેક્ટર શ્રી કે. એસ. યાજ્ઞિકના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્તરીય મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ અને પુરવઠા વ્યવસ્થાથી જોડાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ જિલ્લામાં ઇંધણ, ગેસ અને ખાતર સહિતની આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હાલમાં જિલ્લામાં તમામ જરૂરી ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોને કોઈપણ પ્રકારની અછતનો સામનો કરવો પડશે નહીં.
તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી કે સંગ્રહખોરી અને કાળાબજારી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવામાં આવે. સંબંધિત અધિકારીઓને નિયમિત મોનિટરિંગ કરવા અને કોઈપણ ગેરરીતિ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે બજારમાં કૃત્રિમ અછત ઊભી કરવાના પ્રયાસોને સહન કરવામાં નહીં આવે.
જિલ્લા પ્રશાસન દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહે અને ઇંધણ તથા અન્ય ચીજવસ્તુઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે. અનાવશ્યક સંગ્રહ અથવા ભયના કારણે વધુ ખરીદી ન કરે, જેથી બજારમાં સપ્લાય ચેઈન સુચારૂ રીતે જળવાઈ રહે.
બેઠકમાં વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધારવા અને પુરવઠા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો. અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે તેઓ જમીન સ્તરે સતત નિરીક્ષણ કરે અને નાગરિકોની સુવિધાને પ્રાથમિકતા આપીને કામગીરી કરે.
આ બેઠક જિલ્લાના નાગરિકોને વિશ્વાસ આપતી બની છે કે આવશ્યક ચીજવસ્તુઓની પૂરતી ઉપલબ્ધતા જળવાઈ રહેશે અને કોઈપણ ગેરરીતિ સામે તંત્ર સજાગ છે.




