
‘સોમનાથ અમૃતપર્વ-2026’ના પાવન અવસરે આજે દેશના માનનીય વડાપ્રધાનશ્રીએ પ્રથમ જ્યોતિર્લિંગ Somnath Temple ખાતે પહોંચી ભગવાન સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી વિશેષ મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ વિધિ સંપન્ન કરી હતી. આ પવિત્ર પ્રસંગે વડાપ્રધાનશ્રીએ દેશ અને જન-જનની સુખાકારી, સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના અર્પી હતી.
આસ્થા અને આધ્યાત્મિકતાના અનોખા માહોલ વચ્ચે સોમનાથ દેવાલય ભક્તિમય બની ગયું હતું. શંખનાદ, ડમરુના ધ્વનિ અને “હર હર મહાદેવ”ના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. અમૃત કળશ સાથે માનનીય વડાપ્રધાનશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વડાપ્રધાનશ્રીએ સોમનાથ મંદિરના પુનર્નિર્માણના સ્વપ્નદ્રષ્ટા ભારતના લૌહપુરુષ Sardar Vallabhbhai Patel ને પણ ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણમાં આપેલા યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.
મંદિરમાં ચાલી રહેલી વૈદિક મંત્રોચ્ચાર અને ઐતિહાસિક વિધિઓ વચ્ચે સમગ્ર વાતાવરણ ભક્તિ અને દિવ્યતાથી ઓતપ્રોત બની ગયું હતું. ખાસ કરીને હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવેલી પુષ્પવર્ષાએ સમગ્ર કાર્યક્રમને અદભૂત ભવ્યતા આપી હતી. આકાશમાંથી વરસતા પુષ્પો અને મંદિર પરિસરમાં ગુંજતા જયઘોષથી સોમનાથનું નભ અને ધરતી બંને ભક્તિભાવથી છલકાઈ ઉઠ્યાં હતાં.
દેશ-વિદેશથી આવેલા ભક્તો અને પ્રવાસીઓ માટે આ ક્ષણ અવિસ્મરણીય બની રહી હતી. લોકોએ પોતાના મોબાઇલ અને કેમેરામાં આ દિવ્ય પળોને કેદ કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થાની વિશેષ તકેદારી રાખવામાં આવી હતી.
‘સોમનાથ અમૃતપર્વ-2026’ અંતર્ગત યોજાયેલ આ ભવ્ય કાર્યક્રમ માત્ર ધાર્મિક વિધિ પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ ભારતની સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને ઐતિહાસિક પરંપરાનો જીવંત મહિમા પણ રજૂ કરતો રહ્યો હતો. સોમનાથ મહાદેવના આ પવિત્ર ધામમાં સર્જાયેલ આ દિવ્ય દૃશ્યો ભક્તોના હૃદયમાં વર્ષો સુધી અંકિત રહેશે.





