
જામનગર ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગામી મુલાકાતને લઈને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ તેજ ગતિએ શરૂ કરવામાં આવી છે. આ સંદર્ભે ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વડાપ્રધાનના કાર્યક્રમને યાદગાર અને સુવ્યવસ્થિત બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક પૂર્ણ થયા બાદ ઉપ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે કાર્યક્રમ સ્થળની વ્યક્તિગત મુલાકાત લીધી હતી. તેમણે સ્થળની ભૌગોલિક પરિસ્થિતિ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ તેમજ નાગરિકોની સુવિધાઓ અંગે વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. સાથે જ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી જેથી વડાપ્રધાનની મુલાકાત દરમિયાન તમામ વ્યવસ્થાઓ સરળતાથી સંચાલિત થઈ શકે.
જિલ્લા કલેક્ટર શ્રી પી.બી. પંડ્યાએ બેઠક દરમિયાન સમગ્ર આયોજન અને તૈયારીઓ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે સુરક્ષા વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પાર્કિંગ સુવિધા, ટ્રાફિક નિયંત્રણ અને નાગરિકોને જરૂરી સુવિધાઓ અંગેની માહિતી આપી હતી. ઉપ મુખ્યમંત્રીએ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે વડાપ્રધાનની જામનગર મુલાકાત શહેર માટે ગૌરવની ક્ષણ બની રહેશે.
શ્રી હર્ષ સંઘવીએ ખાસ કરીને નાગરિકોની સુવિધાને પ્રાથમિકતા આપવાની સૂચના આપી હતી. તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમો, જનજાગૃતિ અભિયાન અને સ્વચ્છતા જેવી બાબતોને પણ અસરકારક રીતે અમલમાં મૂકવા ભાર મૂક્યો હતો. વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન હજારો લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા હોવાથી સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા સૂચનાઓ આપવામાં આવી હતી.
આ સમીક્ષા બેઠકમાં રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી શ્રી રિવાબા જાડેજા, સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્યો શ્રી મેઘજી ચાવડા અને શ્રી દિવ્યેશ અકબરી, રાજકોટ રેન્જ આઈજી શ્રી નીલિપ્ત રાય, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન. મોદી, જિલ્લા પોલીસ વડા ડૉ. રવિમોહન સૈની તેમજ અગ્રણી આગેવાનો શ્રી ધનસુખભાઈ ભંડેરી, શ્રી કમલેશભાઈ મિરાણી અને શ્રી બિનાબેન કોઠારી ઉપસ્થિત રહ્યા હતા.




