
ગુજરાત સરકારની જનકલ્યાણકારી Pandit Deendayal Upadhyay Awas Yojana હેઠળ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના એક ખેડૂત પરિવારનું પાકા ઘરનું સપનું સાકાર થયું છે. વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામના ખેડૂત જયેશભાઈ પટેલને આ યોજના હેઠળ રૂપિયા 1.70 લાખની આર્થિક સહાય મળતાં તેમના પરિવારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.
વર્ષોથી કાચા મકાનમાં જીવન વિતાવતાં જયેશભાઈ પટેલનું પરિવાર સુરક્ષિત અને સુવિધાસભર ઘર બનાવવા ઈચ્છતું હતું. મર્યાદિત આવક અને આર્થિક પરિસ્થિતિને કારણે પોતાનું પાકું ઘર બનાવવું મુશ્કેલ બન્યું હતું. ત્યારે રાજ્ય સરકારની આવાસ યોજના તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. યોજનાની સહાયથી હવે તેમના પરિવારને મજબૂત અને સુરક્ષિત રહેઠાણ મળ્યું છે.
જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારની આ સહાયથી તેમના પરિવારનું લાંબા સમયથી જોવાતું સ્વપ્ન પૂરું થયું છે. નવા પાકા ઘરમાં રહેતા પરિવારજનોમાં સુરક્ષાની સાથે નવી આશા અને આત્મવિશ્વાસનો સંચાર થયો છે. તેમણે રાજ્ય સરકાર અને જિલ્લા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીએ જણાવ્યું હતું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને ઘર બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. ખાસ કરીને SEBC, EWS તથા વિમુક્ત જાતિના જરૂરિયાતમંદ પરિવારોને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. સરકારનો મુખ્ય હેતુ દરેક જરૂરિયાતમંદ પરિવારને સુરક્ષિત અને સન્માનજનક રહેઠાણ ઉપલબ્ધ કરાવવાનો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક પરિવારો આ યોજનાનો લાભ લઈ પોતાના પાકા ઘરનું સપનું સાકાર કરી રહ્યા છે. આવાસ યોજનાના કારણે લોકોના જીવનસ્તરમાં સુધારો આવી રહ્યો છે અને ગ્રામ વિકાસને પણ નવી દિશા મળી રહી છે.
રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ આજે સામાન્ય નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહી છે, જેમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.




