
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લામાં યોગ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલરૂપે ત્રિ-દિવસીય “યોગ ટ્રેનર્સ રિફ્રેશર પ્રશિક્ષણ શિબિર”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તા. 30 એપ્રિલથી 2 મે 2026 દરમિયાન વડાલ ખાતે આવેલા શૂન્યતા ઇકો રિસોર્ટમાં યોજાયેલી આ શિબિરે યોગ ટ્રેનર્સને નવી દિશા અને પ્રેરણા આપી છે.
આ શિબિર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શ્રી શિશપાલજીના સાનિધ્યમાં યોજાઈ હતી. શિબિર દરમિયાન યોગના આધ્યાત્મિક, શારીરિક અને માનસિક પરિમાણો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. યોગને માત્ર વ્યાયામ નહીં પરંતુ એક સમગ્ર જીવનશૈલી તરીકે અપનાવવાના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ તાલીમ શિબિરમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર અને અમરેલી જિલ્લાઓમાંથી આશરે 250 જેટલા યોગ ટ્રેનર્સે ભાગ લીધો હતો. ત્રણ દિવસ દરમિયાન યોગાસન, પ્રાણાયામ, ધ્યાન અને આધ્યાત્મિક જીવનશૈલી અંગે પ્રયોગાત્મક તેમજ વ્યવસ્થિત તાલીમ આપવામાં આવી. અનુભવી ટ્રેનર્સ દ્વારા લાઈવ ડેમો અને પ્રેક્ટિકલ સેશન દ્વારા તાલીમ વધુ અસરકારક બનાવી હતી.
શિબિરનો મુખ્ય હેતુ યોગ ટ્રેનર્સની કુશળતા વધારવાનો અને તેમને વધુ પ્રભાવશાળી બનાવવાનો હતો, જેથી તેઓ પોતાના વિસ્તારમાં વધુને વધુ લોકોને યોગ સાથે જોડાવી શકે. યોગ દ્વારા શરીર, મન અને આત્માના સંતુલન વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું, જે ટ્રેનર્સ માટે ખૂબ ઉપયોગી સાબિત થયું.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્ટેટ કોર્ડિનેટર શ્રી અનિલભાઈ ત્રિવેદી તથા ઝોન, મનપા અને જિલ્લા કોર્ડિનેટર્સના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. શિબિર બાદ ટ્રેનર્સે જણાવ્યું કે આ અનુભવ તેમના માટે અત્યંત પ્રેરણાદાયક રહ્યો છે અને તેઓ આ જ્ઞાનને સમાજ સુધી પહોંચાડવા પ્રતિબદ્ધ છે.
આ યોગ શિબિર યોગના વ્યાપક પ્રસાર માટે મજબૂત પાયો પુરવાર થઈ રહી છે અને આરોગ્યપ્રદ અને સંતુલિત જીવનશૈલી તરફ સમાજને પ્રોત્સાહિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.




