
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના જીણોદ ગામમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શાળામાં રાત્રિ વિશ્રામ કર્યા બાદ સવારે વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને યુવાનો સાથે યોગ અને પ્રાણાયામ કરીને સ્વસ્થ જીવનનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે ગામમાં ઉત્સાહ અને પ્રેરણાનો માહોલ જોવા મળ્યો હતો.
રાજ્યપાલશ્રીએ વહેલી સવારે શાળાના મેદાનમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે વિવિધ યોગાસનો અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. તેમણે યોગના નિયમિત અભ્યાસથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને વિદ્યાર્થીઓને ધ્યાન, એકાગ્રતા અને શારીરિક તંદુરસ્તી માટે યોગના મહત્વ વિશે સમજાવ્યું હતું.
આ અવસરે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે આજની વ્યસ્ત જીવનશૈલીમાં યોગ અને પ્રાણાયામ સ્વસ્થ જીવન માટે અત્યંત જરૂરી બની ગયા છે. તેમણે ઉમેર્યું હતું કે નિયમિત યોગાભ્યાસથી તણાવમાં ઘટાડો થાય છે, મન શાંત રહે છે અને શરીર રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. યોગને દૈનિક જીવનનો એક અવિભાજ્ય ભાગ બનાવવાની તેમણે સૌને અપીલ કરી હતી.
વિદ્યાર્થીઓ અને યુવાનોમાં રાજ્યપાલશ્રી સાથે યોગ કરવાનો ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. ગ્રામજનો પણ મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમનો લાભ લીધો હતો. રાજ્યપાલશ્રીએ સૌને નિયમિત યોગ અને પ્રાણાયામ અપનાવી સ્વસ્થ અને સકારાત્મક જીવન જીવવા પ્રોત્સાહિત કર્યા હતા.
જીણોદ ગામમાં યોજાયેલો આ કાર્યક્રમ માત્ર યોગાભ્યાસ પૂરતો સીમિત નહોતો, પરંતુ સ્વસ્થ જીવનશૈલી માટે પ્રેરણા આપતો એક મહત્વપૂર્ણ પ્રયાસ બની રહ્યો હતો. રાજ્યપાલશ્રીના આ ઉપક્રમથી ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધતી જોવા મળી હતી.




