
દાહોદ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા વર્લ્ડ હેલ્થ ડે અને વર્લ્ડ હોમિયોપેથી વીક નિમિત્તે સરકારી ફિઝિયોથેરાપી કોલેજ, દાહોદ ખાતે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આયુષ કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આયુર્વેદ અધિકારીના નેતૃત્વમાં યોજાયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફને આરોગ્ય જાગૃતિ અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. સુધીર જોશીએ હાજરી આપી હતી. તેમણે વર્લ્ડ હેલ્થ ડે 2019ની થીમ “Together for Health” અને “Stand with Science” પર વિશેષ ભાર મુક્યો હતો. તેમણે આરોગ્ય ક્ષેત્રે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો અને મલેરિયા, ડેન્ગ્યુ જેવી બીમારીઓ સામે લડવા માટે સાબિતી આધારિત નીતિઓના મહત્વને સમજાવ્યું.
તેમણે “One Health Approach” અંગે સમજાવ્યું કે માનવ, પ્રાણી અને પર્યાવરણ એકબીજા સાથે સંકળાયેલા છે અને તંદુરસ્ત સમાજ માટે આ ત્રણેનું સંતુલન જરૂરી છે. સાથે જ વૈશ્વિક સ્તરે સહકાર વધારવાની જરૂરિયાત અને આરોગ્ય સુરક્ષા માટે વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપવાનું મહત્વ પણ સમજાવ્યું.
કાર્યક્રમ દરમિયાન આયુર્વેદની ભૂમિકા વિશે વિશેષ માહિતી આપવામાં આવી. ડૉ. જોશીએ જણાવ્યું કે આયુર્વેદ માત્ર સારવાર પદ્ધતિ નથી, પરંતુ જીવન જીવવાની એક કલા છે. નિયમિત દિનચર્યાનું પાલન, ઋતુ મુજબ આહાર અપનાવવો અને આયુર્વેદિક ઔષધિઓ જેમ કે ગિલોય, અશ્વગંધા અને તુલસીનો ઉપયોગ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. પંચકર્મ જેવી પ્રક્રિયાઓ શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર કરવામાં અસરકારક છે. સાથે જ યોગ અને પ્રાણાયામ માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.
કાર્યક્રમના બીજા તબક્કામાં ડૉ. મોના રાઠવાએ હોમિયોપેથી વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે હોમિયોપેથી એક કુદરતી અને સાઈડ-ઇફેક્ટ વિનાની સારવાર પદ્ધતિ છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. હોમિયોપેથીના સ્થાપક સેમ્યુઅલ હેનિમેનની જન્મજયંતિ નિમિત્તે આ સપ્તાહ ઉજવવામાં આવે છે.
કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ સ્વસ્થ સમાજ નિર્માણ માટે પ્રતિજ્ઞા લીધી હતી.





