
તા. 20 માર્ચે ઉજવાતા વિશ્વ ચકલી દિવસે પર્યાવરણ અને પક્ષી સંરક્ષણ અંગે જાગૃતિ વધારવાના અનેક પ્રયત્નો થાય છે. આ દિવસે અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલ બામણા ગામમાંથી એક પ્રેરણાદાયક અભિયાન ‘વિહંગનો વિસામો’ વિશેષ ધ્યાન આકર્ષે છે. આ અભિયાન છેલ્લા 365 દિવસથી અવિરત રીતે ચાલી રહ્યું છે અને “પક્ષીઓ બચાવીએ અને પ્રકૃતિનું જતન કરીએ” જેવા મહત્ત્વના સૂત્રને સાકાર કરી રહ્યું છે.
ઈન્દુબેનની સંસ્થા દ્વારા સંચાલિત આ અભિયાનનો મુખ્ય હેતુ ચકલીઓ અને અન્ય પક્ષીઓ માટે સુરક્ષિત નિવાસ અને પીવાના પાણીની સુવિધા ઉભી કરવાનો છે. શહેરોમાં વધતી કોંક્રિટ સંસ્કૃતિ અને ઘટતા વૃક્ષો વચ્ચે પક્ષીઓ માટે રહેઠાણ અને આહાર મળવો મુશ્કેલ બન્યો છે. આવા સમયમાં ‘વિહંગનો વિસામો’ અભિયાન આશાની કિરણ સમાન બની રહ્યું છે.
આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 9700થી વધુ માટીના માળા, પક્ષી ઘર, પાણીના કુંડા અને ચણપાત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. ગામના લોકો સાથે સાથે આસપાસના વિસ્તારોમાં પણ આ પહેલને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. લોકો પોતાના ઘરના આંગણે અને છત પર માળા તથા પાણીના કુંડા મૂકી પક્ષીઓને આશરો આપી રહ્યા છે.
ઈન્દુબેનનું કહેવું છે કે, “જો આપણે પ્રકૃતિને સાચવીશું તો જ આપણું ભવિષ્ય સુરક્ષિત રહેશે.” તેમના આ પ્રયાસને કારણે બાળકોમાં પણ પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને જવાબદારીની ભાવના વિકસતી જોવા મળે છે.
વિશ્વ ચકલી દિવસના અવસરે ‘વિહંગનો વિસામો’ અભિયાન એ સાબિત કરી દીધું છે કે નાનકડા પ્રયાસોથી પણ મોટા પરિવર્તન લાવી શકાય છે. આ પહેલ અન્ય વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે, જ્યાં લોકો પક્ષીઓના સંરક્ષણ માટે આગળ આવી રહ્યા છે.
આવો, આપણે પણ આ અભિયાનથી પ્રેરાઈ પક્ષીઓને બચાવવા અને પર્યાવરણનું જતન કરવા માટે એક નાનકડું પગલું ભરીએ.





