
સુરત સર્કિટ હાઉસ ખાતે ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તેમજ ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન મંત્રીશ્રીએ બંને વિભાગોની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી અને વિભાગીય કામગીરીને વધુ અસરકારક બનાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાજ્યનો સર્વાંગી વિકાસ શ્રમિકોના કઠોર પરિશ્રમ અને યોગદાનથી જ શક્ય બને છે. તેથી શ્રમિકોના હિતો અને સુરક્ષા સુનિશ્ચિત કરવી આપણી સામૂહિક જવાબદારી છે.
મંત્રીશ્રીએ ખાસ કરીને સુરત અને વલસાડ જિલ્લાઓમાં મોટી સંખ્યામાં વિવિધ રાજ્યોમાંથી રોજગાર માટે આવતા શ્રમિકોની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે રોજી-રોટી માટે આવતાં શ્રમિકોના યોગ્ય ડેટા, રોજગાર આધારિત વિગતો અને કલ્યાણકારી યોજનાઓ સુધી પહોંચ સુનિશ્ચિત કરવી અત્યંત જરૂરી છે. સંબંધિત અધિકારીઓને શ્રમિકોની માહિતી સુવ્યવસ્થિત રીતે સંકલિત કરી તેમની જરૂરિયાતો મુજબ યોજનાઓ અમલમાં મુકવા સૂચના આપવામાં આવી.
તેમણે વધુમાં ઉમેર્યું કે વધતી વસ્તી સાથે રોજગારની માંગ સતત વધી રહી છે. આવી પરિસ્થિતિમાં દરેક શ્રમિકના હિતોનું રક્ષણ અને તેમની સુખાકારી માટે સંવેદનશીલ અભિગમ અપનાવવો આવશ્યક છે. શ્રમિક પરિવારોના આરોગ્ય, શિક્ષણ અને સામાજિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવા મંત્રીશ્રીએ ભાર મૂક્યો.
ગ્રામ વિકાસ વિભાગની કામગીરીની સમીક્ષા કરતા મંત્રીશ્રીએ ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીના અવસરો વધારવા, કૌશલ્ય વિકાસ તાલીમને મજબૂત બનાવવા અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો.
આ સમીક્ષા બેઠક દ્વારા સરકારની શ્રમિક કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થઈ છે. મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ વિભાગીય કામગીરી વધુ ગતિશીલ અને પરિણામલક્ષી બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.





