
જામનગર, તા. ૨૭ ફેબ્રુઆરી: જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો “સ્વાગત” ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન નાગરિકોની વિવિધ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી તાત્કાલિક અને અસરકારક નિરાકરણ લાવવા સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
કલેકટરશ્રીએ અરજદારો સાથે સહાનુભૂતિપૂર્વક વાતચીત કરી તેમની સમસ્યાઓની મૂળભૂત હકીકતો જાણી સ્થળ પર જ ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. સંવેદનશીલ અભિગમ સાથે કામગીરી કરવા અધિકારીઓને માર્ગદર્શન આપતા તેમણે પારદર્શક અને સમયબદ્ધ નિરાકરણ પર ભાર મૂક્યો હતો.
આ “સ્વાગત” કાર્યક્રમમાં કુલ ૧૯ અરજીઓ રજૂ થઈ હતી, જેમાંથી ૧૭ અરજીઓનું સ્થળ પર જ હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું હતું. બાકીની અરજીઓ માટે નિર્ધારિત સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરી અહેવાલ રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. અરજીઓમાં બળદ મૃત્યુ અંગે સહાય, સરકારી આયુર્વેદિક હોસ્પિટલ શરૂ કરવાની માંગ, સીસી રોડના કામ, પોલીસ વિભાગની કામગીરી, પીજીવીસીએલના વીજપોલ દૂર કરવાની બાબત, આરટીઓ કચેરીમાંથી લાઇસન્સ મેળવવાની સમસ્યા, બોગસ વેચાણ દસ્તાવેજ, ભૂગર્ભ ગટર કામગીરી, સોલાર સિસ્ટમના ટેક્નિકલ પ્રશ્નો, કોર્પોરેશન વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ, જીએસટી વિભાગ સંબંધિત મુદ્દા તેમજ જમીન રિસર્વે બાબતો જેવી વિવિધ રજૂઆતોનો સમાવેશ થતો હતો.
“સ્વાગત” કાર્યક્રમ નાગરિકોને સીધા જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ પોતાના પ્રશ્નો રજૂ કરવાની સુવિધા પૂરી પાડે છે. ઝડપી અને પારદર્શક નિરાકરણ મળતા અરજદારોમાં સંતોષની લાગણી જોવા મળી હતી અને તેમણે કલેકટરશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈની, નિવાસી અધિક કલેકટર શારદા કાથડ તેમજ પ્રાંત અધિકારીઓ અને સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





