
સુરત સ્થિત લાજપોર મધ્યસ્થ જેલમાં આવતીકાલથી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ માટે કુલ 21 બંદીઓ તૈયાર થયા છે. જ્યુડિશિયલ કસ્ટડી હેઠળના આરોપીઓ અને સજા ભોગવતા કેદીઓ શિક્ષણના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે તે હેતુસર જેલમાં જ ‘પરીક્ષા સેન્ટર’ની વ્યવસ્થા કરવામાં આવી છે.
જેલ અને સુધારાત્મક વહીવટ (અમદાવાદ)ના પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન. રાવના માર્ગદર્શન તેમજ જેલ અધિક્ષક શ્રીપાલ શેષમાના નેતૃત્વ હેઠળ શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન આ વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. લાજપોર જેલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા પાકા કામના 4 કેદી અને કાચા કામના 6 આરોપી મળીને કુલ 10 બંદીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12માં પાકા કામના 4 કેદી અને કાચા કામના 7 આરોપી મળી કુલ 11 બંદીઓ બોર્ડ પરીક્ષા આપશે. આમ, કુલ 21 બંદીઓ આ વર્ષે બોર્ડ પરીક્ષામાં ભાગ લેશે.
આ પ્રસંગે જેલના નાયબ અધિક્ષક એ.એચ. રાજપુત અને સિનીયર જેલર પી.ડી. હિહોરીયાએ પરીક્ષા આપતા બંદીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે બંદીઓને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રેરણા આપી અને ફૂલ તથા મીઠાઈ આપી શુભેચ્છા પાઠવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે શિક્ષણ વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવવાનો શક્તિશાળી સાધન છે અને જેલમાં રહેલા બંદીઓ માટે શિક્ષણ નવી શરૂઆતનું દ્વાર ખોલી શકે છે.
જેલ તંત્ર દ્વારા બંદીઓ માટે નિયમિત અભ્યાસ, માર્ગદર્શન અને અનુકૂળ પરીક્ષા વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે. શિક્ષણ દ્વારા બંદીઓમાં સકારાત્મક વિચારો, આત્મવિશ્વાસ અને સમાજમાં પુનઃસ્થાપિત થવાની ભાવના મજબૂત બને છે.
લાજપોર મધ્યસ્થ જેલની આ પહેલ સુધારાત્મક વહીવટનું ઉત્તમ ઉદાહરણ બની છે, જ્યાં સજા ભોગવતા બંદીઓને પણ શિક્ષણ દ્વારા નવી દિશા આપવામાં આવી રહી છે.





