
આદિજાતિ વિસ્તાર ધરાવતા નર્મદા જિલ્લોમાં રોડ કનેક્ટિવિટી વધુ સુદૃઢ બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લામાં બે નવા પૂલોના નિર્માણ માટે કુલ ₹302.40 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપી છે. આ નિર્ણયથી જિલ્લાના 11 જેટલા ગામોના 18 હજારથી વધુ લોકોને જિલ્લા અને તાલુકા મુખ્ય મથકો સાથે વધુ સુગમ અવર-જવર સુવિધા મળશે.
મંજૂર થયેલા પ્રોજેક્ટ અનુસાર રેંગણ ઘાટથી રામપુરા ઘાટ ઉપર નવા પૂલના નિર્માણ માટે ₹123.13 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત શહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટને જોડતા બીજા પૂલ માટે ₹179.27 કરોડ મંજૂર કરાયા છે. આ બંને પૂલો નર્મદા જિલ્લાના ઉત્તર અને દક્ષિણ વિસ્તારોને મજબૂત રીતે જોડશે.
આ પ્રોજેક્ટથી તિલકવાડા, વાસણ, રેંગણ, રામપુરા, માંગરોલ અને શહેરાવ સહિતના ગામોમાં વસતા ગ્રામજનોને વર્ષભર સરળ અને સુરક્ષિત માર્ગ સુવિધા મળશે. ખાસ કરીને ચોમાસાના સમયમાં, જ્યારે નદીના પાણીના સ્તર વધતા પરિવહન વ્યવસ્થા પ્રભાવિત થાય છે, ત્યારે આ નવા પૂલો લોકો માટે જીવનરેખા સમાન સાબિત થશે.
વિદ્યાર્થીઓ માટે પણ આ નિર્ણય ખૂબ લાભદાયી સાબિત થશે. ગામડાઓમાંથી શાળા-કોલેજોમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને હવે ચોમાસામાં પણ અવર-જવરમાં મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. શિક્ષણ, આરોગ્ય અને રોજગાર માટેની સુવિધાઓ સુધી પહોંચ વધુ સરળ બનશે.
અત્યાર સુધી નાંદોદ અને તિલકવાડા તાલુકામાં દર વર્ષે ચૈત્ર માસ દરમિયાન યોજાતી ઉત્તરવાહિની પરિક્રમામાં ભાગ લેવા આવતા લાખો પરિક્રમાવાસીઓને લાંબો ફેરાવો કરવો પડતો હતો. આ નવા પૂલોના નિર્માણથી અંદાજે 17 કિલોમીટરનો ફેરાવો ઘટશે, જેના કારણે સમય અને ઈંધણ બંનેની બચત થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આ નિર્ણયથી નર્મદા જિલ્લાના સર્વાંગી વિકાસને ગતિ મળશે અને આદિજાતિ વિસ્તારોમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનો વધુ વિસ્તરણ થશે. રોડ કનેક્ટિવિટી મજબૂત થતાં સ્થાનિક અર્થતંત્ર, વેપાર અને પ્રવાસન પ્રવૃત્તિઓને પણ નવી દિશા મળશે.





