
Dahod જિલ્લાના સંજેલી તાલુકામાં આંગણવાડી કાર્યકર બહેનો માટે મહત્વપૂર્ણ જોબ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા પંચાયત હોલ ખાતે આયોજિત આ તાલીમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી. તાલીમનો મુખ્ય હેતુ આંગણવાડી કેન્દ્રોની સેવાઓને વધુ અસરકારક અને ગુણવત્તાસભર બનાવવાનો હતો.
આ તાલીમ કાર્યક્રમ દરમિયાન બાળ પોષણ અને આરોગ્ય અંગે જાગૃતિ, પ્રી-સ્કૂલ શિક્ષણની અસરકારક પદ્ધતિઓ, બાળકોના વૃદ્ધિ માપન અને રેકોર્ડ જાળવણી, માતા-બાળ આરોગ્ય અને રસીકરણ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાથે જ સમુદાય સાથે સંવાદ અને સંકલન કેવી રીતે મજબૂત બનાવવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યકરોની કાર્યક્ષમતા વધે અને ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે તે દિશામાં આ તાલીમ અત્યંત ઉપયોગી સાબિત થઈ.
જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણએ જણાવ્યું હતું કે આ પ્રકારની તાલીમોથી આંગણવાડી કેન્દ્રોમાં ગુણાત્મક સુધારો થશે. ગર્ભવતી અને ધાત્રી માતાઓ તેમજ ૦ થી ૬ વર્ષના બાળકો સુધી સરકારની તમામ યોજનાઓનો લાભ સુનિશ્ચિત રીતે પહોંચે તે માટે કાર્યકરોને સજ્જ બનાવવું સમયની જરૂરિયાત છે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ કાર્યકરોમાં નવી ઊર્જા અને આત્મવિશ્વાસ જગાવવાનો છે.
તાલીમ દરમિયાન નિર્ધારિત મોડ્યુલ અનુસાર વિવિધ પ્રાયોગિક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી. ખાસ કરીને પાંદડાંમાંથી વિવિધ ચિત્રો બનાવવાની સર્જનાત્મક પ્રવૃત્તિએ બહેનોમાં ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રવૃત્તિઓ દ્વારા પ્રી-સ્કૂલ શિક્ષણને રસપ્રદ અને પ્રયોગાત્મક બનાવવાના માર્ગ દર્શાવવામાં આવ્યા.
કાર્યક્રમમાં હાજર તમામ આંગણવાડી કાર્યકર બહેનોે ઉત્સાહપૂર્વક અને રસ સાથે ભાગ લીધો હતો. આવી તાલીમોથી દાહોદ જિલ્લામાં બાળ વિકાસ સેવાઓને નવી દિશા મળશે અને સમુદાયના આરોગ્ય તથા પોષણ સ્તરમાં સકારાત્મક પરિવર્તન આવશે.





