
ગુજરાત સરકારના તાજેતરના બજેટમાં શિક્ષણ અને પ્રાદેશિક વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. ભૂપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમાં શિક્ષણ ક્ષેત્ર માટે ઐતિહાસિક ₹63 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગા એ જણાવ્યું કે આ ફાળવણી રાજ્યના યુવાનોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવશે અને નવી પેઢીને ગુણવત્તાયુક્ત શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવશે.
રાજ્યમાં સર્વાંગી અને સંતુલિત વિકાસ માટે કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો માટે રૂ. 2,000 કરોડની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. આ પગલાંથી પ્રાદેશિક અસમાનતા ઘટાડવા અને દરેક વિસ્તારમાં આધારભૂત સુવિધાઓ મજબૂત બનાવવાનો સરકારનો પ્રયાસ છે.
ખાસ કરીને કચ્છ જિલ્લાના વિકાસને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. દુધઇ સબ-બ્રાન્ચ કેનાલના કામો માટે રૂ. 230 કરોડ ફાળવાયા છે, જેનાથી સિંચાઈ સુવિધામાં વધારો થશે અને ખેડૂતોને સીધો લાભ મળશે. પાણી સંસાધનના સદુપયોગથી કૃષિ ઉત્પાદનક્ષમતા વધારવા અને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાનો હેતુ છે.
પર્યાવરણ સંરક્ષણ અને પર્યાવરણીય સંતુલન માટે પણ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. કચ્છ અને અન્ય વન વિસ્તારોમાં ગાંડા બાવળ દૂર કરી તેના સ્થાને બાંબૂ (વાંસ) સહિત સ્થાનિક પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. સાથે જ કચ્છના બન્ની ઘાસિયા મેદાનમાં ગ્રાસલેન્ડ રીસ્ટોરેશન માટે રૂ. 97 કરોડની જોગવાઈ કરાઈ છે. આથી પર્યાવરણ સુરક્ષા સાથે પશુપાલન અને સ્થાનિક જીવનવ્યવસ્થા મજબૂત બનશે.
રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગા એ જણાવ્યું કે ગુજરાત સરકારના આ બજેટમાં કચ્છના સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યો છે. શિક્ષણ, સિંચાઈ, પર્યાવરણ અને પ્રાદેશિક વિકાસના ક્ષેત્રોમાં થયેલી આ ઐતિહાસિક ફાળવણી રાજ્યને વિકાસના નવા શિખરો પર પહોંચાડશે.

