
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે રજૂ થનાર રાજ્યના બજેટ પોથીને આ વર્ષે વિશેષ સાંસ્કૃતિક ઓળખ આપવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષથી બજેટ બુક પર પરંપરાગત વારલી ચિત્રકળાને સ્થાન આપવામાં આવે છે અને આ પરંપરા હવે રાજ્યની અનોખી ઓળખ બની ગઈ છે. આ વર્ષે બજેટ પોથીના મુખપૃષ્ઠ પર આદિવાસી સમાજમાં પૂજાતી આરાધ્યા દેવી ‘કંસારી દેવી’નું આકર્ષક અને પ્રતીકાત્મક ચિત્રાંકન કરવામાં આવ્યું છે, જે સમૃદ્ધિ અને અન્નપૂર્ણતાનું પ્રતિક માનવામાં આવે છે.
વારલી ચિત્રકલા લગભગ 1200 વર્ષ જૂની પ્રાચીન લોકકલા છે, જે મુખ્યત્વે આદિવાસી જીવનશૈલી, પ્રકૃતિ પ્રત્યેનો લગાવ, કૃષિ પરંપરા અને ધાર્મિક માન્યતાઓને સરળ રેખાઓ દ્વારા વ્યક્ત કરે છે. માટી અથવા લાલ પૃષ્ઠભૂમિ પર સફેદ રંગથી દોરાતી આ ચિત્રકળામાં માનવ આકૃતિઓ, પશુ-પક્ષીઓ, ખેતીના દૃશ્યો અને તહેવારોનું જીવંત પ્રદર્શન થાય છે. રાજ્ય સરકારનો આ પ્રયાસ માત્ર કલાત્મક રજૂઆત નથી, પરંતુ આદિવાસી વારસાને સંરક્ષિત રાખવાનો એક સશક્ત સંદેશ છે.
કંસારી દેવી આદિવાસી સમાજમાં અન્ન અને સુખ-સમૃદ્ધિની દેવી તરીકે પૂજાય છે. ઘરમાં લગ્ન પ્રસંગ હોય, ખેતરમાં નવા ધાનનું આગમન થાય કે કોઈ શુભ કાર્યનું આયોજન કરવામાં આવે ત્યારે દેવીની સ્થાપના કરીને વિશેષ પૂજા કરવામાં આવે છે. બજેટ પોથી પર દેવીનું ચિત્ર દર્શાવે છે કે રાજ્ય વિકાસ સાથે પરંપરા અને સંસ્કૃતિને પણ સમાન મહત્વ આપે છે.
આ પહેલથી આદિવાસી કલાકારોને પ્રોત્સાહન મળે છે અને પરંપરાગત કળાને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળે છે. બજેટ જેવી મહત્વપૂર્ણ દસ્તાવેજ પર વારલી ચિત્રકળાને સ્થાન આપવું એ ગૌરવની બાબત છે. વર્ષ 2026-27નું બજેટ હવે માત્ર આર્થિક આંકડાઓ પૂરતું સીમિત નથી, પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક સમરસતાનું પ્રતિબિંબ પણ બની રહ્યું છે.





