
બનાસકાંઠા જિલ્લાના દાંગિયા ગામની નાનકડી દીકરી સમ્યાની લાગણી અને નિખાલસ પ્રશ્ને સમગ્ર રાજ્યનું દિલ જીતી લીધું હતું. ગયા વર્ષે યોજાયેલી સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની વીડિયો સંવાદ બેઠક દરમિયાન સમ્યાએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને ભાવુકતાભર્યા શબ્દોમાં પૂછ્યું હતું – “દાદા, તમે અમારી શાળાએ ક્યારે આવશે?” આ પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ પણ એટલી જ લાગણીપૂર્વક વચન આપ્યું હતું કે, “જ્યારે હું ત્યાં આવીશ, ત્યારે ચોક્કસ તમને મળવા આવીશ.”
મુખ્યમંત્રીશ્રીએ પોતે આપેલા વચનનું માન રાખી પીએમ શ્રી ઉત્તમપુરા (દાંગિયા) અનુપમ પ્રાથમિક શાળાની જાતે મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓ સાથે હ્રદયસ્પર્શી સંવાદ કર્યો. મુખ્યમંત્રીની આ મુલાકાત માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ બાળકની લાગણીને આપેલો માન અને વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ બની રહી.
આ પ્રસંગે દીકરી સમ્યાએ પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “મેં દાદાને કહ્યું હતું કે તમે અમને મળવા આવશો. દાદાએ એ વાત યાદ રાખી અને આજે મારી તથા મારી શાળાની ઈચ્છા પૂરી કરી.” સમ્યાના આ નિખાલસ શબ્દોએ ત્યાં હાજર સૌને ભાવુક બનાવી દીધા.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સમ્યાને આશીર્વાદ આપતાં કહ્યું, “તમે મહેનતપૂર્વક અભ્યાસ કરો અને ભવિષ્યમાં કલેક્ટર બનો.” તેમના આ પ્રોત્સાહનજનક શબ્દોએ વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા ભરી દીધી.
મુખ્યમંત્રીની આ મુલાકાતથી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોએ ગૌરવ અનુભવ્યો. રાજ્ય સરકાર શિક્ષણ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે તેવું આ ઘટના સ્પષ્ટ કરે છે. એક નાનકડી દીકરીના પ્રશ્નથી શરૂ થયેલી આ વાર્તા આજે સંવેદનશીલ નેતૃત્વ અને માનવીય અભિગમનું પ્રેરણાદાયક ઉદાહરણ બની છે.





