
વડોદરામાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય સંત મહંત સ્વામી મહારાજની ૯૨મી જન્મજયંતિ તથા તેમની દીક્ષા પૂર્ણ થવાના ૬૯ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે ભવ્ય અને દિવ્ય સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી મોહન યાદવ વિશેષ રીતે સહભાગી બન્યા હતા.
આ આયોજિત સત્સંગ કાર્યક્રમમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજ તથા પ.પૂ. ડૉ. સ્વામી દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. સમગ્ર વાતાવરણ આધ્યાત્મિકતા અને ભક્તિભાવથી છલકાયું હતું. કાર્યક્રમ દરમિયાન નૃત્ય નાટિકાઓ, મંત્રગાન અને ભક્તિપ્રેરક રજૂઆતો કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો આરતીમાં સહભાગી બની આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો.
પ.પૂ. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી BAPS સંસ્થાના ૩ વર્ષથી ૧૩ વર્ષની વયના ૧૫,૦૦૦ કરતાં વધુ બાળ-બલિકાઓએ એક વર્ષમાં સંસ્કૃત ભાષામાં ‘સત્સંગદીક્ષા’ ગ્રંથનો સંપૂર્ણ મુખપાઠ કર્યો છે. મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત ૩૧૫ શ્લોકો ધરાવતો આ ગ્રંથ આધ્યાત્મિક, નૈતિક, સામાજિક અને વ્યવહારિક જીવન માટે ઉત્તમ માર્ગદર્શન પૂરૂં પાડે છે.
કોઈ એક સંસ્કૃત ગ્રંથના રચયિતાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં માત્ર એક વર્ષમાં ૧૫,૬૬૬ બાળ-બલિકાઓ દ્વારા ૩૧૫ શ્લોકોનો સંપૂર્ણ મુખપાઠ અને સમૂહગાન થવું એક ઐતિહાસિક અને વિરલ ઘટના છે. આ અનોખી સિદ્ધિને ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવી છે, જે સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે.
આ અવસરે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા પાઠવવામાં આવેલા શુભેચ્છા પત્રનું વાંચન પણ કરવામાં આવ્યું હતું. તેમણે પત્રમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજના આધ્યાત્મિક માર્ગદર્શન અને સમાજ માટેના યોગદાનની પ્રશંસા કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમ વડોદરાને આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર બનાવતો અને ભારતીય સંસ્કૃતિ તથા મૂલ્યોની ઉજવણી કરતો અવિસ્મરણીય પ્રસંગ બની રહ્યો હતો. 🙏✨





